Thursday, September 2, 2010

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

શ્રાવણ માસની વદ આઠમના દિવસે રાત્રિના બાર વાગ્યે મથુરાનગરીના કારાગારમાં વસુદેવની પત્ની દેવકીના કૂખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો એ સાથે જ એક નવા યુગની શરૃઆત થઈ એમ કહી શકાય. કારણ કે જ્યારે ચારેબાજુ દાનવી અને પાશવી વૃત્તિએ જોર પકડયું હતું ત્યારે શ્રીકૃષ્ણનો જન્મ એ દૈવીવૃત્તિના ઉદયને સૂચવે છે. ભગવાન શ્રીકૃષ્ણે રાક્ષસી વૃત્તિના કંસ, જરાસંધ જેવા દુષ્ટ લોકોનો સંહાર કરી સમાજમાં ફરી દૈવી શક્તિનો સંચાર કરવા પ્રયત્નો કર્યા હતા. અંધકારમય યુગને ખતમ કરવા જન્મેલી દૈવી શક્તિ એટલે જ શ્રીકૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં કૌરવો - પાંડવો વચ્ચેની ધર્મ - અધર્મની લડાઈમાં પાંડવોના પક્ષે રહીને તેમને વિજય અપાવવામાં મદદ કરીને ધર્મની સ્થાપના કરી અને ભારતીય સમાજ માટે સંદેશ મોકલાવેલ છે કે હંમેશા સત્ય અને ધર્મનું આચરણ કરો.

શ્રીકૃષ્ણનું જીવન જ એવું ઉદાત્ત અને કલ્યાણકારી હતું કે જેના કારણે સામાન્ય પ્રજાજનને એવું લાગતું હતું કે કૃષ્ણ મારા જ છે. રાજા હોય કે રંક, શ્રીકૃષ્ણ સૌને માટે સરખા હતા. તેનો સાચો અનુભવ પાંડવોને તો થયો જ હતો તો ગરીબ મિત્ર સુદામાને પણ થયો હતો. મુરલીધરે જે દિવસે સંસારમાં પગરવ પાડયા તે વખતે જ વાદળોનો ગડગડાટ થતો હતો. વીજળીના કડાકા બોલતા હતા અને મુશળધાર વરસાદ તૂટી પડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કંસ જેવા અત્યાચારી રાજાનાં દમનમાંથી સમાજને છોડાવવાની સૌ પ્રતિક્ષા કરી રહ્યું હતું ત્યારે જ કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કોને આનંદ ન થાય ?

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષ પહેલાં જ્યારે ધરતી પર કૃષ્ણ પધાર્યા ત્યારે મથુરા અને ગોકુળની પ્રજા આનંદમાં આવી ગઈ હતી. કારણ કે તેમની મુક્તિનો તારણહાર તેમની સાથે હતો. સર્વ દુઃખો ભૂલી જઈને લોકો કૃષ્ણમય બની ગયા તે ઉત્સવ એટલે જન્માષ્ટમી. હજારો વર્ષથી ભારતીય સમાજ કૃષ્ણ જન્મોત્સવને ઉજવીને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી રહ્યો છે. કૃષ્ણભક્તિ એટલે સત્ય અને ધર્મ પ્રત્યેની સાચી નિષ્ઠા. શ્રીકૃષ્ણ આજે પણ આપણા સૌના પથદર્શક છે અને જીવન ઉદ્ધારક છે. કારણ કે ભારતીય સમાજ જીવનમાં કૃષ્ણ જેવો કોઈ આધ્યાત્મિક, નૈતિક કે પછી રાજકીય રીતે ઉત્તમ પુરુષ થયો નથી. કૃષ્ણનું સમગ્ર જીવન સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે જ ગયું હતું. તેઓ હંમેશા ધર્મના પક્ષે રહ્યા અને અસુરોનો સંહાર કરતા રહ્યા.

શ્રીકૃષ્ણમાં એવી ગજબની આકર્ષણ શક્તિ હતી જેનાથી સૌ તેમના પ્રત્યે આકર્ષાતા હતા. કૃષ્ણે ગોવાળિયાઓને ભેગા કરીને તેમનો પ્રેમ જીતી લીધો હતો. તેમણે પોતાના જીવન થકી સામાન્ય લોકોને બોધ આપ્યો કે કર્મ, સત્ય અને નિષ્ઠા હશે તો જીવનમાં જરૃર આગળ વધી શકશો. પ્રભુ તમારી પાછળ ઊભા રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ અન્ય લોકોના કલ્યાણ અર્થે તો ધરતી પર અવતર્યા હતા. તેમની હયાતીથી માનવીઓ, પશુ - પંખીઓ અને તમામ જીવો આનંદિત હતા. આજે પણ જન્માષ્ટમી આવતા સૌ આનંદવિભોર બની જાય છે. ચારેબાજુનું વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. જન્માષ્ટમીના દિવસે ભારતમાં કોઈ એવું શહેર કે ગામ બાકી નહીં રહે જ્યાં કૃષ્ણને યાદ કરવામાં ન આવે. જેમ ભગવાને સૌના દિલ જીતી લીધા હતા તેમ જન્માષ્ટમીનું પર્વ પણ કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયોને પુલકિત કરી દે છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભારતને જોડનારા મહાપુરુષો છે. રામે ઉત્તરથી દક્ષિણ ભાગને જોડયો તો શ્રીકષ્ણ દ્વારા પૂર્વથી પશ્ચિમ ભાગ જોડાયો છે. રામ અને કૃષ્ણ વગર ભારતની કલ્પના થઈ શકે નહિ. બંને કલ્યાણકારી હતા. છતાં પણ તેઓની ભૂમિકા થોડી જુદી હતી. રામે પરિવાર એકમને પકડીને સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. જ્યારે કૃષ્ણે સમાજના જુદા જુદા એકમો પકડીને સમાજનું નિયમન કર્યું. સમાજના વિકાસ કાર્યની વચ્ચે જે કોઈ આવ્યા તે બધાને સીધા કરી નાખ્યા હતા. જ્યારે દુર્યોધન, કંસ, કાલવયન, નરકાસુર, શિશુપાલ, જરાસંધ જેવા આસુરી તત્ત્વો લોકોને રંજાડી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે ધર્મ અને નીતિનું સુદર્શન ચક્ર હાથમાં લઈને અસુરોનો સંહાર કર્યો હતો. સંસ્કૃતિપ્રેમી પાંડવોના તેઓ સદાને માટે માર્ગદર્શક બની રહ્યા. અર્જુનના રથની જેમ તેના જીવનરથને પણ પ્રભુ જ સંભાળતા હતા. કટોકટીના પ્રસંગે અને કપરા કાળમાં તેઓ પાંડવોને ઉગારી લે છે. જરૃર પડયે ધર્મને ખાતર તેઓ પાંડવોને જેવા સાથે તેવાની નીતિ પણ અજમાવવા કહે છે. કારણ કે તેઓ રાજનીતિજ્ઞા પણ છે.

જગતનો ઈતિહાસ હંમેશા પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રીકૃષ્ણે કરેલો છે. ભગવદ્ ગીતામાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિનું અને નિવૃત્તિનું માધ્યમ તેમણે આપેલું છે. તેમણે જીવનનો કર્મયોગ સમજાવ્યો છે તેથી જગદ્ગુરુ સ્થાન પર બિરાજે છે. ભક્તિ અને જ્ઞાાન જેણે જીવનમાં અપનાવ્યા છે એવા નિષ્કામ કર્મયોગીની સમજણ ગીતામાં શ્રીકૃષ્ણે આપેલી છે. ગીતાનું જ્ઞાાન સૂતેલા વ્યક્તિને બેઠો કરે છે. સાવ નંખાઈ ગયેલ વ્યક્તિમાં પણ ચૈતન્ય પૂરવાની તાકાત તેનામાં રહેલી છે. આજે ચેતનત્વ ગુમાવી બેસેલા સમાજે ફરી બેઠો થવા ગીતાના વિચારને જીવનમાં ઊતારવાની જરૃર છે. કૃષ્ણનું એ દિવ્ય ધ્યેય જીવનમાં આવવું જોઈએ. ત્યારે જ કૃષ્ણ મુરલી વગાડીને બધી પ્રવૃત્તિઓને રાસ લેતી કરશે.

આજે આખું જગત કૃષ્ણના વિચારોને સ્વીકારવા તૈયાર છે. કૃષ્ણે પ્રત્યેક ક્રિયામાં પ્રાણ પૂર્યા છે. રમતમાં જીવન ભરનાર અને જીવનને રમત બનાવનાર એટલે શ્રીકૃષ્ણ. કૃષ્ણ એટલે કલ્યાણ, આનંદ અને જીવનની સુગંધ. જેના જીવનમાં કૃષ્ણનો પ્રવેશ થયો હોય તેનું જીવન આનંદમય જ બની જાય છે. જેણે ટૂંકા ગાળામાં જ જીવનનો મર્મ બતાવેલ છે તે પરમાત્મા શ્રીકૃષ્ણના જન્મદિવસ પર્વના રોજ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

સૌજન્ય :સંદેશ

Monday, August 16, 2010

સાચો પ્રેમ ? એ વળી શું ?

સેકન્ડ યર સાઇકોલોજીની વિદ્યાર્થીની પ્રીતિ (૧૮) એના આકર્ષક રૃપ માટે કોલેજના છોકરાઓમાં જાણીતી હતી. બધા એની સાથે ફ્રેન્ડશિપ કરવા તલપાપડ હતા પણ પ્રીતિએ કોલેજના સૌથી હેન્ડસમ યુવાન વિનીતને પોતાના બોયફ્રેન્ડ તરીકે પસંદ કર્યો. જિમમાં નિયમિત જતા વિનીતનું બૉડી કોઇ એકટર જેવું કસાયેલું અને સપ્રમાણ હતું પણ એના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રીતિ અને વિનીતની ફ્રેન્ડશીપ એકાદ વરસ ચાલી ત્યાં કોલેજમાં પાર્થ નામના એકનવા યુવાનની એન્ટ્રી થઇ. પાર્થ સાવ દેખાવમાં સાધારણ હતો પણ રોજ ચળકતી ઓપલ એસ્ટ્રા કારમાં કોલેજ આવતો. એ મોંઘાદાટ બ્રાન્ડેડ વસ્ત્રો પહેરતો અને બ્લેક બેરી ફોન વાપરતો. પાર્થ કોલેજના કેમ્પસમાં કાર પાર્ક કરીને કલાસમાં આવતો ત્યારે એના વિદેશી પરફયુમથી આખો કલાસ મહેકી ઉઠતો. પ્રીતિએે એકાદ અઠવાડીયા સુધી આ બધી વાતની નોંધ લીધી અને પછી પાર્થ સાથે ફ્રેન્ડશીપ કરવાનું મનોમન નક્કી કરી લીધું.

એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણી મારફત મેસેજ મોકલીને પાર્થને કેન્ટિનમાં મળવા બોલાવ્યો. પાર્થને પણ દેખાવડી કન્યામાં રસ પડયો હતો એટલે એ મળવા આવ્યો. બંને વાતોએ વળગ્યા અને વાતવાતમાં પ્રીતિએ પાર્થને ડેટિંગ પર જવાની ઓફર કરી. પાર્થે થોડા સંકોચ સાથે કહ્યું, 'સૉરી, આ સન્ડે તો હું મારી સ્કૂલની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો છું.' પ્રીતિએ આ સાંભળી જરાય નાસીપાસ થયા વિના બીજી ઓફર કરી, 'તો પછી નેકસ્ટ સન્ડે ડેટ પર જવાનું રાખીએ. આ સન્ડે હું પણ મારા જુના બોયફ્રેન્ડ વિનીત સાથે ડેટ પર જઇ આવું.' પાર્થે પ્રીતિની નવી ઓફર સ્વીકારી અને બંનેની ફ્રેન્ડશીપ પર મહોર લાગી ગઇ. ધીમે ધીમે પાર્થ- પ્રીતિ વચ્ચેની દોસ્તી પાકી થતી ગઇ અને વિનીત આપોઆપ પ્રીતિથી દૂર થઇ ગયો. આ જોઇ એકવાર કેન્ટિનમાં પ્રીતિની ખાસ ફ્રેન્ડ પલ્લવીએ એને પૂછી લીધુ, 'પ્રીત, તે પાર્થ માટે વિનીતને છોડી દીધો કે શું? એ બિચારો કેવો દેવદાસ થઇને ફરે છે! તારે આવુ નહોતુ કરવું જોઇતું.' આ સાંભળી પ્રીતિએ ખિલખિલાટ હસતા પલ્લવી સમક્ષ પોતાનું દિલ ખોલ્યું, 'પલ્લી, વિનીત બહુ સારો છોકરો છે, હેન્ડસમ છે, સ્વભાવનો સારો છે પણ એની પાસે ઓપલ એસ્ટ્રા અને બ્લેક બેરી નથી. એટલે હું એને લાઇફ પાર્ટનર બનાવવાનું કદી સ્વપ્ને પણ ન વિચારૃ. જયારે પાર્થ પાસે મને આપવા માટે બધુ જ છે. એ મને મેરેજ માટે પ્રપોઝ કરશે તો હું ના નહિ કહું આફટર ઑલ, આઇ વાન્ટ ટુ એન્જોય માય લાઇફ.'

અઢાર વરસની કાચી વયે પ્રેમને ભૌતિકતાના ત્રાજવામાં તોલી શકે છે. એ નવા જમાનાની તાસિર છે.

એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા

એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."

તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી...

અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો

અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો

અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી

અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી

અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો

અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી

અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ

અને બુલબુલ પાસેથી શરમાળતા...
આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...

અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા

જીવનમાં નવું શું છે ?

વરસોનાં વરસ સુધી આપણે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. આ રફતારને શિસ્ત, સિક્યોરિટી, શાણપણ જેવાં રૂપાળાં નામ આપીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં એ આપણો ડર છે, અજાણ્યા રસ્તે જવાનો ! Fear of unknown ! એટલી હદ સુધી કે કોઈ નવા વિચારને પણ આપણે ભાગ્યે જ મગજમાં આવવા દઈએ છીએ.

ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.

અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?

જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !

ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે?‘

પ્રેમ ખુદા છે,સમજાવું પણ, ફર્ક ઘણો છે સમઝણ વચ્ચે.

ઝરણું ફૂટ્યું મૃગજળ વચ્ચે, જીવન ધબક્યું બે પળ વચ્ચે.
સ્વર્ગપરી સંતાણી સ્વર્ગે, હું અટવાયો વાદળ વચ્ચે.

એક જગ્યા છે પ્રેમ રહે જ્યાં, એ છે કીકી કાજળ વચ્ચે.
કેમ કરી ખુશ્બૂ સંતાડે, ફૂલ ફસાયું કાગળ વચ્ચે.

શીરીતે શોધું યાદોને, આંસુ સરક્યું ઝાકળ વચ્ચે.
ખૂબ મઝાનું સ્પંદન માણ્યું, યૌવન કૂદયું બચપણ વચ્ચે.

મનની આંખો મોજ કરે છે, હોય ભલે જગ બે જણ વચ્ચે.
આજ અચાનક એવું મલક્યાં, આંસુ થોભ્યું પાંપણ વચ્ચે.

પ્રેમ ખુદા છે,સમજાવું પણ, ફર્ક ઘણો છે સમઝણ વચ્ચે.

હું મારી જ શોધમાં

જંગલમાં તપ તપતા એક બાવાજીના માથામાં પુષ્કળ જૂ થઈ ગઈ. ખૂબ ચટકા ભરે. બાવાજી માથું ખંજવાળવા જોરથી હાથ ફેરવે તો પાંચપંદર જૂ મરી જાય. પોતાની વેદના કરતાંય આ જૂ મોટી સંખ્યામાં મરી જતી હોવાથી બાવાજી દુ:ખીદુ:ખી થઈ ગયા. અવારનવાર પોતાના દર્શને આવતા એક ભક્તને બાવાજીએ કહ્યું : ‘ભાઈ ! શહેરમાંથી એક સારા હજામને બોલાવી લાવ. માથા પરના બધા વાળ મારે ઉતરાવી નાખવા છે.’

બીજે દિવસે પેલો ભક્ત હજામને લઈને બાવાજી પાસે આવ્યો. બાવાજીએ હજામને કહ્યું, ‘ભાઈ ! વાળ તું એવી કાળજીથી કાપ કે જેથી માથામાં રહેલી એક પણ જૂ મરે નહિ.’ હજામ દયાળુ હતો. જૂથી ખદબદી ઊઠેલા બાવાજીના માથાનો એકએક વાળ હજામે કાળજીથી કાપવા માંડ્યો. તમામ વાળોને ઉતારતાં પૂરા સાત કલાક લાગ્યા; પણ બાવાજીના અને હજામના એ બન્નેના આનંદનો પાર નહોતો; કારણ કે તમામ જૂ બચી ગઈ હતી ! હજામની વાળ કાપવાની આવડતથી પ્રસન્ન થયેલા બાવાજીએ હજામને પોતાની ઝૂંપડીમાં આવવા કહ્યું. હજામ બાવાજીની સાથે ઝૂંપડીમાં ગયો. બાવાજીએ એક ડબ્બી ઉઠાવી પછી હજામને કહ્યું, ‘બેટા ! જીવો પ્રત્યેની તારી દયા જોઈને હું તારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયો છું. વરસોથી મારી પાસે પડેલો પારસમણિ ‘કોને આપવો ?’ એની મને મૂંઝવણ હતી પણ મને લાગે છે કે આ પારસમણિને લાયક તું છે. માટે લે બેટા ! આ પારસમણિ ! લોખંડને અડાડીશ એટલે તુર્ત જ એ લોખંડ સોનામાં રૂપાંતરિત થઈ જશે !’ આમ કહી બાવાજીએ ડબ્બી ખોલીને તેમાં રહેલો પારસમણિ હજામના હાથમાં મૂક્યો. હજામ તો બાવાજીની આ ઉદારતા જોઈને ગદગદ થઈ ગયો. આંખમાં આંસુ સાથે બાવાજીના પગમાં પડી ગયો. અને બાવાજીના આશીર્વાદ લઈને પોતાના ઘર તરફ આવવા નીકળ્યો.

મનમાં આનંદનો પાર નથી. કેટલી મામૂલી સેવાનું કેટલું ઊંચું ફળ મળ્યું ! સીધો આવ્યો પોતાની દુકાને. હૅર કટિંગ સલૂનમાં પડેલાં તમામ લોખંડનાં સાધનોને પારસમણિ અડાડ્યો. તમામ સાધનો સોનાનાં થઈ ગયાં. બીજે દિવસે દુકાનની બહાર મોટા અક્ષરે પાટિયું લગાવ્યું : ‘આ સલૂનમાં તમારા વાળ કપાવવા તથા હજામત કરાવવા જરૂર પધારો; કારણ કે અમે સોનાના અસ્ત્રાથી તમારી હજામત કરી આપીશું અને વાળ પણ સોનાની કાતરથી કાપી આપીશું !’

બિચારો હજામ ! પારસમણિ જેવો પારસમણિ મળ્યો તોય રહ્યો તો હજામ જ ! ટનનાં ટન લોખંડને સોનામાં ફેરવી દે તેવી પ્રચંડ તાકાત ધરાવતા પારસમણિનો ઉપયોગ કર્યો તેણે કાતર અને અસ્ત્રાને સોનામાં ફેરવી નાખવામાં ! હજામની મૂર્ખાઈ પર આપણને હસવું આવે છે. પણ આપણે હજામ કરતાંય વધુ મૂર્ખાઈ કરી રહ્યા હોઈએ તેવું નથી લાગતું ? વર્તમાનકાળમાં આપણને મળેલી એકએક સામગ્રી પારસમણિ કરતાંય વધુ તાકાતવાળી છે. પારસમણિ વધુમાં વધુ આ જન્મમાં કામ લાગે અને તેય માત્ર સંપત્તિ જ આપી શકે. પણ રોગોને અટકાવવાની, મોતમાં સમાધિ આપવાની, પરલોકમાં સદગતિઓની પરંપર સર્જવાની તેની કોઈ જ તાકાત નહિ. જ્યારે ધર્મસામગ્રીઓથી યુક્ત આ માનવજન્મની તાકાત કેટલી ? અનંતાનંત કાળથી ચાલતા આત્માના સંસારના પરિભ્રમણને સ્થગિત કરી દેવાની તેની તાકાત છે. દુર્ગતિઓને એ તાળાં લગાવી શકે છે. સદગતિઓના દરવાજા તે ખોલી આપે છે. મોતને મહોત્સવમય તે બનાવી શકે છે. રોગને કર્મક્ષયનું પ્રબળ કારણ તે બનાવી શકે છે. સંપત્તિઓના ઢેરના ઢેર વચ્ચે તેને અદ્દભુત સ્વસ્થતા તે અર્પી શકે છે. ટૂંકમાં કહીએ તો આત્માના આલોક અને પરલોક એ બંનેને સુવર્ણમય બનાવી દેવાની તેની પ્રચંડ તાકાત છે. પારસમણિ કરતાંય પ્રચંડ તાકાતવાળા આ જન્મને પામીને આપણે તેનો ઉપયોગ શેમાં કરીએ છીએ એ શાન્ત ચિત્તે વિચારવા જેવું છે.

Thursday, June 10, 2010

લાગણીઓ વધુ મહત્વની હોય છે.

એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કારનો આગળનો ભાગ આગળની કારના પાછલા હિસ્સા સાથે અથડાઈ પડ્યો. પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં. પોતાની કાર તદ્દન નવી છે અને થોડા દિવસ પહેલા જ શો રૂમમાંથી લીધી છે. હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, એમ એ પેલી કારના માલિકને કહેવા લાગી. પેલા કારમાલિકે પણ સહાનુભૂતિ બતાવી. એ સાથે જ એણે કહ્યું કે આપણે એકમેકના લાઈસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખી લેવાં જોઈએ. નંબરનો કાગળ કાઢવા યુવતીએ પોતાના ભૂરા મોટા કવરમાં હાથ નાખ્યો તો એના હાથમાં એક કાગળ આવ્યો. યુવતીના પતિએ એ કાગળમાં લખ્યું હતું : ‘અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું.’

બોધ : લાગણીઓ હંમેશા ભૌતિક ચીજો કરતાં વધુ મહત્વની હોય છે.

Wednesday, May 26, 2010

આપણી ધારણા પ્રમાણે ભેટનું પૅકિંગ થયું નથી

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીનેકહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળીગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એકસ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએએના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

*************************************
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ !

Monday, April 19, 2010

એક શાળાના ગરીબ વિદ્યાર્થીની ભગવાનને ટપાલ

પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે
વાદળાની વચ્ચે
મુ.આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.

મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!

પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યુંછે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી

મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…!

હું જાણું છું તારે’યઘણાયને પૂછવું પડે એમ છે.

જલ્દી કરજે

ભગવાન…સમય બહું ઓછો છે

તારી પસે…અને મારી પાસે પણ…!

લી.
એક શાળાનો ગરીબ વિદ્યાર્થી

Monday, March 29, 2010

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે……
- મુનિ શ્રી ચિત્રભાન

Friday, February 26, 2010

દિલ પૂછે છે મારૂં...

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં,લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?...

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.