Wednesday, December 9, 2009

આપણે ગુજરાતીઓ - ગુજરાતી ગૌરવ ગાથા

આપણે ગુજરાતીઓ …..

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’! આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે. વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને. ‘મનીમાઈન્ડેડ’ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.

આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે. (ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…. દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડ તમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ. ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે.

ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ. ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં. વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’ વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે.

પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!) દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !) ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?) હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે? જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો.

જ્ય જ્ય ગરવી ગુજરાત’. ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત’.


[પ્રસ્તુત હાસ્ય-લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

Wednesday, August 19, 2009

આ માનસ જાને મોબાઇલ થઇ ગયો...

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઇ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

સામે કોણ છે એ જોઇને
સંબંધ રિસીવ કરતો થઇ ગયો
સ્વાર્થનાં ચશ્માં પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઇ ગયો
મીસીસને છોડીને મિસને
એ કોલ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

પડોશીનું ઉચું મોડેલ જોઈ
જુવોને જીવ બળતો થઇ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

હોઈ જુનાગઢમાં અને છું અમદાવાદમાં
એમ કહેતો એ થઇ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

ઇનકમિંગ- આઉટ ગોઇગ ફ્રિ ના ચક્કરમાં
કુટુંબના જ કવરેજ બહાર એ થઇ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝેરો એ થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો !

Tuesday, August 4, 2009

એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો : ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.

સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.

થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’

ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’

એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.

‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’

અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.

હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :

‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’

‘માર્યા. એ….ગ…યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’

મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’

હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.

કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું. મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’

‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી, માતર માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’

દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.

– ધૂમકેતુ

Wednesday, July 1, 2009

પોસ્ટ ઑફિસ - ‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર: એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી, ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો; ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, તેની બંધ બારી તથા બારણામાથી દીવાનો ઊજાસ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટઑફિસ.’

ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલિસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.

અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઈબ્રેરિયન, એમ એક પછી અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા!’

વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.
‘ગોકળભાઈ!’
‘કોણ ?’
‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં?…હું આવ્યો છું.’
જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’

કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.
અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્દષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય! એની તીક્ષ્ણ દ્દષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાગડા’ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઈટાલીના ગરુડ જેવી અલીની દ્દષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતાં નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો–શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાંથી ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દ્દષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ્ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટઑફિસ આવીને બેસતો.

પોસ્ટઑફિસ-કદાચ જગતમાં સૌથી રસહીન મકાન-એનું ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારે મજાકમાં એનું નામ દઈ, એને એ જગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોવા છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે; એટલે આખા શહેરના દરેકે દરેક ઑફિસરનો ખાનગી ઈતિહાસ અત્યારે વંચાતો.
કોઈના માથા પર સાફો, તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ્-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંક તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલ માસ્તર,’ આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે!
અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.

‘પોલિસ કમિશનર!’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો.
‘સુપરિન્ટેન્ડન્ટ’!

બીજો એક પટાવાળો આગળ આવ્યો-અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો.

અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકાઓ પહેલાંનો ગામડિયો!

‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.

‘હા-કોણ? અલી નાં? હા સાહેબ; પાંચ વારસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે! એનો કાગળ ભાગ્યે જ હોય છે!’ કારકુને જવાબ આપ્યો.

‘કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય?’

‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો; એમાં કોઈ થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો.

‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’

‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલાં જ કરતો: બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’
‘અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો!’
આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા ને જતાં જતાં કહ્યું:

‘માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા, એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો. ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્દષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો’ એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસ એ હાંફતો હતો. ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.
આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું: ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે?’

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. તેમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

‘ભાઈ, તમે કેવા છો?’

‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’

‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે!’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે?

પોસ્ટમાસ્તર તપી ગયા: ‘ગાંડો છે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે?
એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો: ‘ભાઈ!’
કારકુન ચમક્યો; પણ તે સારો હતો.

‘કેમ?’

‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.
‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો?’
‘શું’?
‘આ ઉપર શું દેખાય છે?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.
‘આકાશ’.
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરીયમનો કાગળ આવે તો પહોંચાડવો.’
કારકુન આશ્ચ્રર્યમાં સ્થિર ઊભો: ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો?’
‘મારી કબર ઉપર!’
‘હેં?’
‘સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો, તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું!

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈ ને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.

ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમેન અલી ડોસા!’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પહેલા ડોસાનું જ કવર—અને કદાચ એની દીકરી મરિયમનું.
‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી.
લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.
‘કેમ સાહેબ?’
‘આ તમારા કોચમેન અલી ડોસા….આજે હવે ક્યાં છે એ?’
‘તપાસ કરશું.’

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.
વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હ્રદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમૅન હજી આવ્યા ન હતા; પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હ્રદય પિતાના હ્રદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊંભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટમાસ્તર સામે જોયું. ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું!

‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ને આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો:
‘હા અલી ડોસા કોણ? તમે છો નાં?’
‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે! પણ એનો કાગળ લાવો મારી પાસે!’
હેં કે દી? લક્ષ્મીદાસ!’
‘જી, એને તો ત્રણેક મહીના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમૅન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિઙમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું: મેં અલીને જોયો, કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો?–

પાછી રોજનીશી ચાલી : ‘પોલિસ કમીશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઈબ્રેરિયન’- કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

પણ દરેક કાગળમાં ધડકતું હ્રદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્દષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્દષ્ટિ છોડી બીજાની દ્દષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’
’જી, હા.’
‘—અને તમે કીધું, અલી ડોસા…’
‘જી હા,’
‘પણ –ત્યારે… ત્યારે, સમજાયું નહિ કે…’
‘શું ?’

‘હાં ઠીક. કાંઈ નહિ!’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હ્રદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા ને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

- "ધૂમકેતુ" ગૌરીશંકર જોશી

Tuesday, June 30, 2009

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.પ્લાન્ટ(ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

સૌજન્ય : વિનય ખત્રી

Thursday, June 18, 2009

ચાંદો સૂરજ રમતા’તા...

ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી,
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં.

બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો.
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યુ.

દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું,
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો.

ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી.
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી.

માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો,
ધડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું.

પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં,
ફુલ મેં પુજારી ને અપ્યા, પુજારી એ મને પ્રસાદ આપ્યો,

પ્રસાદ મેં બા ને અપ્યો, બા એ મને લાડવો આપ્યો,
ઇ લાડવો હું ખાઇ ગ્યો, અને હું અવડો મોટો થઇ ગ્યો....

Friday, June 12, 2009

વૈષ્ણવજન તો તેને રે કહીયે - નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

- નરસિંહ મહેતા

Thursday, June 11, 2009

આંધળો આંધળાને દોરે છે.

એક ધનવાન- સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્‍યાં રોકકળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્‍પાંત કરતો હતો. સમાજસેવકે પૂછયું, ‘‘શું થયું ભાઈ! કેમ આવું? કલ્‍પાંત કરે છે ?’’ ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્‍યો, ‘‘ગંધર્વસેનનું મૃત્‍યુ થયું છે.’’ધનવાને પૂછયું, ‘‘કોણ ગંધર્વસેન ?’’
ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, ‘‘ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ ? મારું તો સર્વસ્‍વ લૂંટાઈ ગયું.’’ રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્‍યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.
બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્‍યાં સામે રાજયના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછયું. સમાજસેવકે જણાવ્‍યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્‍યું છે તો તેમણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્‍યું.
પોલીસવડાનું બોડાવેલું માથું જોઈ રાજાએ ગંભિરતાથી પૂછયું, ‘‘કોનું અવસાન થયું છે ?’’ પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્‍યું, ‘‘મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.’’ રાજાએ તરત રાજયમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકાવવા હુકમ કર્યો. રણવાસમાંથી મહારાણી બહાર આવ્‍યાં. તેમણે બધે શોકનું સામ્રાજય જોયું. મહેલનો ધ્‍વજ અડધી કાઠીએ ફરકતો જોય. તેમણે રાજાને પૂછયું, ‘‘મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે?’’ મહારાજે કહ્યું, ‘‘ મહાન પૂજય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્‍ટ્રીય શોક જાહેર થયો છે.’’
મહારાણીએ પૂછયું, ‘‘ગંધર્વસેન કોણ હતાં? કયા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?’’ રાજાને તેની ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછયું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, ‘‘એ તો સમાજસેવકશ્રી જાણે.’’ સમાજસેવકને બોલાવ્‍યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્‍યો. ધોબીએ આવી કહ્યું, ‘‘મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા- લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્‍પાંત કરતો હતો.’’
જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.

Wednesday, June 10, 2009

શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે...



એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે

દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

Tuesday, May 12, 2009

માલીદાસ ભરવાડ

માલીદાસ નામનો એક ભરવાડ હતો. તે ઢોર ચરાવતો અને જીવન ગુજારો કરતો હતો.એક દિવસ એણે એક બ્રાહ્મણ મહારાજને જોયા. મહારાજ નદીમાં પડયા અને નાહ્યા. પછી કિનારે બેસી તેમણે પલાંઠી મારી. નાક પર આંગળી મૂકી તેમણે ધ્‍યાન કર્યું. મહારાજ ઊભા થયા
ત્‍યારે માલીદાસે પૂછયું કે તમે આ બધું શું કર્યું. મહારાજે કહ્યું, ‘‘તું અભણ ભરવાડ છે. તને એ બધું નહીં સમજાય.’’
માલીદાસે એ જાણવા માટે જીદ કરી તેથી બ્રાહ્મણે કહ્યું, ‘‘સ્‍નાન કરી હું શુધ્‍ધ થયો. શુધ્‍ધ થયા પછી જ ધ્‍યાન ધરાય. ધ્‍યાન ધરવા મેં નાકે આંગળી મૂકી શ્વાસ રોકયો. એ રીતે શ્વાસ રોકીએ તેને પ્રાણાયામ કહેવાય.’’
માલીદાસે પૂછયું, ‘‘એમ કરવાથી શું મળે ?’’ માલીદાસ ને માથું ખાતો રોકવા બ્રાહ્મણે કહી દીધું, ‘‘એમ કરવાથી ઈશ્વરનાં દર્શન થાય.’’
બ્રાહ્મણના ગયા પછી બીજે દિવસે સવારે માલીદાસ નહાઈને ચોખ્‍ખો થયો. બ્રાહ્મણની જેમ પલાંડી મારી બેઠો અને નાકે આંગળી મૂકી શ્વાસ રોકયા. ઈશ્વરનાં દર્શન થયાં નહીં એટલે તેણે તો શ્વાસ રોકી જ રાખ્‍યો. શ્વાસ લીધા વગર તેના પ્રાણ જવાની તૈયારી હતી. તેની સાચી તાલાવેલી? જોઈ ભગવાને દર્શન આપ્‍યાં.

માલીદાસે પૂછયું, ‘‘તમે કોણ છો ?’’
ભગવાને જવાબ આપ્‍યો, ‘‘હુ; ભગવાન છું’’
માલીદાસે પૂછયું, ‘‘તમે ભગવાન છો તે હું કેમ માનું ? મારે મારા ગુરુ બ્રાહ્મણ મહારાજને પૂછવું પડે.’’
ભગવાને કહ્યું, ‘‘ભલે તેમને પૂછી આવ.’’
‘‘ત્‍યાં સુધીમાં તમે ભાગી જાવ તો ? હું તમને મારા દોરડા વડે આ ઝાડ સાથે બાંધી રાખું અને બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવું.’’ ભરવાડે કહ્યું.
ભગવાને કહ્યું, ‘‘ભલે.’’ માલીદાસે ભગવાનને ઝાડ સાથે બાંધ્‍યા. પછી તે બ્રાહ્મણ મહારાજને બોલાવી લાવ્‍યો. ઝાડ સાજે બાંધેલા ભગવાનને બતાવી તેણે મહારાજને પુછયું, ‘‘ગુરુ મહારાજ, આ જ ભગવાન છે કે ?’’
બ્રાહ્મણ મહારાજને તો કંઈ દેખાતું નહોતું. મહારાજે તો કહ્યું, ‘‘મને તો કંઈ દેખાતું નથી’’ ભરવાડે પૂછયું કે ઝાડે બાંધેલો આ પુરુષ તમને દેખાતો નથી? બ્રાહ્મણે તો ના પાડી. ત્‍યાં આકાશવાળી થઈ, ‘‘હે બ્રાહ્મણ, તું ઉપરછલ્‍લા ક્રિયાકર્મ કરે છે તેથી હું તને દેખાતો નથી. આ ભરવાડે ખરા હ્રદયથી ધ્‍યાન ધર્યું તેથી મેં તેને દર્શન આપ્‍યાં છે.’’ બ્રાહ્મણે માલીદાસે ને કહ્યું, ‘‘હા, તને દેખાય છે તે ઈશ્વર જ છે.’’
માલીદાસ તે પછી સંત માલીદાસ કહેવાયા. બ્રાહ્મણે હવે સાચી લગની અને તાલાવેલીથી ધ્‍યાન માંડ્યું. આવા ધ્‍યાનથી જ ઈશ્વરનાં દર્શન થાય છે.

નાનાં પગલાંથી મોટી સિધ્ધિ મળે છે.

ચાણકય ઘણી વાર પ્રજામાં શું ચાલી રહ્યું છે એ જાણવા વેશપલટો કરી નીકળતા. આવી રીતે એક વાર તે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રાજધાની છોડી દૂરના ગામડે જઈ પહોચ્‍યા. રાત પડી ગઈ હતી. રાતવાસો કરવો પડે તેમ હતો. એક ખેડૂતને ત્‍યાં જઈ ચાણકયે રાત માટે આશ્રય માગ્‍યો. બ્રાહ્મણ અતિથિને ખેડૂતે આવકાર્યા.

ખેડૂતે ઘરમાં કહ્યું, ‘‘બ્રાહ્મણ અતિથિ આંગણે આવ્‍યા છે. એમને ભૂખ્‍યા ન સુવાડાય. જલદી જલદી કંઈ રસોઈ બનાવી નાખો.’’ ખેડૂતની વહુએ ઝડપથી ભાત અને બટાટાનું રસાદાર શાક બનાવી નાખ્‍યું. ખેડૂતે ચાણકયને જમવા બોલાવ્‍યા. પ્રજામાં રહેલી આતિથ્‍યભાવના જોઈ ચાણકય રાજી થયા. હાથ-મોં ધોઈ તે ભોજન કરવા બેઠા. ખેડૂતના વૃધ્‍ધ માજીએ ગરમાગરમ ભાત પીરસ્‍યો. કેળના પાન પર જાણે ભાતનો નાનો ડુંગર! તેના પર ગરમ ફળફળતું શાક નાખ્‍યું. ખાવા માટે ચાણકયે ભાતના ઢગલાની ટોચ પર હાથ નાખ્‍યો. ગરમ ભાત અને શાકથી તેમની આંગળીઓ દાઝી ગઈ અને એમણે એકદમ હાથ પાછો ખેંચી લીધો.

માજીએ કહ્યું, ‘‘તમે અમારા મંત્રી ચાણકય જેવા લાગો છો. ચાણકય હંમેશા બીજા દેશના કેન્‍દ્રમાં રહેલી રાજધાની પર પહેલા હુમલો કરે છે. આથી પાછા પડે છે. તમે જેમ હાથ ખેંચી લીધો તેમ ચાણકયનું સૈન્‍ય પણ પાછું ફરે છે. છેડાનાં નાનાં નાનાં ગામ પર શરુઆતમાં હુમલો કરવો જોઈએ. તમે પણ નીચેના ભાત પહેલા આરોગો, પછી વચ્‍ચે પહોંચો. એમ કરશો તો પૂરતો ગરમ ભાત મજાથી જમી શકશો.’’

માજીનું ડહાપણ જોઈ ચાણકય ચકિત થઈ ગયા. ચાણકયે બોધપાઠ લીધો. હંમેશા નાનાં નાનાં પગલાંથી શરુ કરવું જોઈએ. એમ કરીએ તો મોટી સિધ્ધિ મેળવી શકાય.

ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.

ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’ ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’

કાળજા કેરો કટકો મારો...

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

-કવિ દાદ

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ...

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે…. – વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય… – વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત – વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. – વીજળીને ચમકારે

-ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.

Friday, May 1, 2009

ગુજરાત રાજ્ય દિવસ - ૧લી મે ૧૯૬૦

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન
અને મે દિન અથવા મજૂર દિન


ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત.

ઈ.સ. ૧૯૬૦ માં "મહાદ્વિભાષી રાજ્ય" - બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે ૧ લી મે ૧૯૬૦ ના દિવસે ઉદઘાટન થયું હતું. ઈ.સ. ૨૦૧૦ માં ગુજરાત રાજ્ય સ્થાપનના ૫૦ વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં ૧-૫-૧૮૮૭ ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે

આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને. ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે.

૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવે છે. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા - ગુજરાત નું આયોજન છે.

આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે…

આપને સૌને અશ્વિન પઢિયાર તરફ થી…
જય ગુજરાત…

Thursday, April 30, 2009

રીંછ એકલું ફરવા ચાલ્યું...

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

Tuesday, April 21, 2009

સંબંધોમાં છે નાટક ઘણા...

સંબંધોમાં છે નાટક ઘણા,
સમજાય નહીં એવા પાત્રો ઘણા.

થાકી જાવ ભજવતા ભજવતા,
પૂરા થતા નથી નાટક ઘણા.

કલાકાર બની ગયા જીંદગીના,
સરસ ભજવી ગયા નાટક ઘણા.

સત્યની અહિયા કોને પડી છે,
આવડવુ જોઈયે કરતા નાટક ઘણા.

રંગમંચની કઠપૂતળીઓ છે માણસ,
ઈશ્વરે દોરીથી ભજવ્યા નાટક ઘણા.

ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા.

"અશ્વિન" ન આવડતુ હોય તો શીખી લે,
આ દુનિયામાં ચાલે છે નાટક ઘણા.

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો...

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો,
ફના થઈ જાય છે કિંતું કદમ પાછા નથી ભરતો.

સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાથી,
જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો.

નથી મંજૂર કે મુજ પ્રેમનું અપમાન થઈ જાયે,
કરું છું યાદ તુજને પણ કદી આહો નથી ભરતો.

હજારો દીપ છે આશાનાં એ અંધકારને માટે,
નિરાશા લાખ આવે હું નિરાશાથી નથી ડરતો.

ઉષા છે રજની મારી જિંદગીની ચાંદની જેવી,
મરણ અંધકાર લઈ આવે તો હું પરવા નથી કરતો.

Saturday, April 18, 2009

દબાય સાલા ને હજુ જોરથી દબાય

એક વખત બે કીડી બપોરે જમ્યા પછી ઝાડ ઉપ શાંતી થી પગ લાંબા કરીને બેઠી હતી.
એવામાં નીચેથી એક હાથી ડોલતો ડોલતો નીકળ્યો અને ઝાડને હલાવતો ગયો જેના
લીધે એ કીડી હાથી ઉપર પડી ગઈ. એને હાથી ઉપર પડતા જોઇને
બીજી કીડીએ ઉપરથી બુમ પાડી.
"દબાય સાલા ને હજુ જોરથી દબાય".

પપ્પુ ને સાઈકલ મલશે ???

પપ્પુ એક દીવસ સવારે રસોડામાં એની મમ્મી રસોઇ બનાવતી હતી ત્યાં ગયો.

પપ્પુની બર્થ-ડે નજીક આવતી હતી એટલે એ એના તોફાની મગજ માં વીચારતો હતો કે આ સમય ઘણોજ સરસ છે કંઇક માંગવા માટે.

પપ્પુ : મમ્મી, મારે આ વખતે મારી બર્થ-ડે ઉપર એક મસ્તન સાઇકલ જોઇએ છે.

(આમ તો પપ્પુડીયો ઘણો તોફાની હતો. અવરનવાર એની સ્કુલ માંથી એની ફરીયાદો અવ્યા કરતી હતી. )

મમ્મી : જો પપ્પુ તુ તારી બર્થ-ડે ઉપર સાઇકલ જોઇતી હોય તો તુ ભગવાન ને એક કાગળ લખી ને જણાવ કે તે તારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી કેટલા સારા અને કેટલા ખરાબ પરાક્રમો કર્યા છે. તે તારી સ્કુલ માં કેવું વર્તન કર્યુ છે. અને પછી જો ભગવાન ને લાગશે કે તને સાઇકલ મળવી જોઇએ તો ભગવાન તને જરૂરથી સાઇકલ આપશે.

આટલુ સાંભળીને પપ્પુ ભગવાન ને લેટર લખવા એની રૂમમાં જતો રહ્યો.

______________________________________

લેટર 1

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું અને મારું હોમવર્ક પણ રેગુલર કરતો રહ્યો છું જેની નોંધ લેશો અને મારી આ બર્થ-ડે પર મને એક નવી સાઇકલ મોકલાવશો.

લાલ કલરની સાઇકલ મોકલવાશો તો મને વધારે ગમશે.

તમારો માનીતો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ ને ખબર હત્તી કે એણે શુ પરાક્રમો કર્યા છે અને એના વીશે કેવી ફરીયાદો થયેલી છે.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને બીજો લેટર લખવા બેઠો.

______________________________________

લેટર 2

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

મેં મારૂ હોમવર્ક ભલે રેગુલર નથી કર્યુ પણ હું સ્કુલ માં એકદમ રેગુલર રહ્યો છું અને સ્કુલ માં કોઇ તોફાન પણ નથી કર્યા.

ઉપર જણાવેલી બાબતો ની નોંધ લેશો અને મને મારી આ બર્થ-ડે ઉપર એક સાઇકલ મોકલાવશો.

તમારો વ્હાલો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ જાણતો હતો કે એણે લેટરમાં જે લખ્યું તે સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને ત્રીજો લેટર લખવા બેઠો.

______________________________________

લેટર 3

માનનીય ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

અને હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું.

મને મારી આ બર્થ-ડે ઉપર મારી માટે સાઇકલ મોકલવાશો.

તમારો માનીતો અને વ્હાલો,

પપ્પુ.

______________________________________

હવે પપ્પુ ને એ પણ ખબર હતીકે આ બધુ પણ સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર પણ ફાડી નખ્યો અને પછી ચોથો લેટર લખવા બેઠો.

______________________________________

વ્હાલા ભગવાન,

તમે ત્યાં મજા માં હશો.

મને ખબર છે કે મેં મારી છેલ્લી બર્થ-ડે થી અત્યારે સુધી કેવા કેવા પરાક્રમો કર્યા છે.

મને એ પણ ખબર છે કે હું મારી સ્કુલ માં કેટલો રેગુલર છું અને મારૂ હોમવર્ક પણ કેટલું કરેલુ છે.

છતા પણ આ વરસ મારી બર્થ-ડે ઉપર એક સાઇકલ જોઇએ છે જે મોકલાવવા નમ્ર વિનંતી.

તમારો માનીતો,

પપ્પુ.

______________________________________

પણ પપ્પુ ને પાક્કી ખાતરી હતી કે આ બધુ લખેલું છે એમા કેટલુ સાચ્ચુ છે. અને એને એ પણ ખાતરી હતી કે આ વસ્તુ એને સાઇકલ નહીં અપાવી શકે.

એટલે એણે ચોથો લેટર પણ ફાડી નખ્યો.

______________________________________

હવે પપ્પુ એકદમ અપસેટ થઇ ગયો.

પપ્પુ હવે ઉભો થઇ ને એના રૂમ માંથી નીકળી ને બહાર એની મમ્મી પાસે ગયો અને ઉદાસ ચહેરે મમ્મી ને કહ્યું કે મમ્મી મારે મંદીરે જવું છે.

મમ્મી ને લાગ્યું કે પપ્પુ ને એની ભુલો ઉપર પસ્તાવો થયો હોઇ એ ભગવાન પાસે માફી માંગવા માંગે છે.

એટલે એની મમ્મી એને લઇ ને મહાદેવજી ના મંદીર મા ગઇ.

પપ્પુ મંદીર માં જઇને બેઠો અને ભગવાન ને પગે લાગ્યો પછે આજુ બાજુ એની ચકોર નજર ફેરવી ને જોયું કે કોઇ જોતુ તો નથી ને. અને પછી ધીરે રહી ને એણે ત્યાં એક ગણેશજી ની નાની મુર્તી હતી તે એના ખીસ્સા માં મુકી દીધી.

હવે પપ્પુ ખુશ જણાતો હતો એટલે પપ્પુ અને એની મમ્મી બંને ઘરે પાછા આવી ગયા.

ઘરે આવતાંજ પપ્પુ દોડી ને એની રૂમમાં જતો રહ્યો અને ખીસ્સામાંથી ગણેશજી ની મુર્તી કાઢી ને ટેબલ ઉપર મુકી.

હવે પપ્પુ એ ફાઇનલ લેટર લખ્યો.

______________________________________

લેટર 5 (ફાઇનલ)

ભગવાન,

હું પપ્પુ,

મેં તમારા છોકરા ને કીડ્નેપ કરી લીધો છે.

જો તમે એમને મળવા માંગતા હોય તો મને મારી આ બર્થ-ડે ઉપર લાલ કલરની સાઇકલ મોકલાવશો.

પપ્પુ.

Wednesday, April 15, 2009

ઝૂલણ મોરલી વાગી રે...

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે...

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

હે તને જાતાં જોઇ પનઘટની વાટે...

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..

રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

Saturday, April 11, 2009

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

હેલો મારો સાંભળો રણુજાના રાય...

હેઈ...........હેજી રે
હે.... રણુજાના રાજા, અજમાલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો હો... હો.. હોજી

હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાતરાયુ થાય
મારો હેલો સાંભળો હો.. હો.. હોજી

હે......... હે જી રે....
હે... વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક
મારો હેલો સાંભળો હો..હો..જી

હે....... હેજી રે.....
વાણિયો ને વાણિયણ જાતરાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે..... હેજી રે...
હે... ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયાને તીજો થયો સાથ
મારો હેલો સાંભળો હો... હો...જી

હે...... હેજી રે......
ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ
મારી નાખ્યો વાણિયા ને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો હો.. હો...જી

હે...................
ઊભી ઊભી અબળા કરે રે પુકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વ્હારે ચઢ્યા રામ દે પીર
મારો હેલો સાંભળો હો... હો... જી

હે...ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ચારે ભુવનમાંથી શોધી લાવું ચોર
મારો હેલો સંભળો હો... હો...જી

હે... ભાગ ભાગ ચોરડા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દા’ડા ખઈશ
મારો હેલો સાંભળો હો.. હો.. જી

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

આભાર : પ્રીતનાં ગીત

Thursday, April 9, 2009

જય શ્રી હનુમાન


હનુમાનજીનો જન્‍મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

હનુમાનજીનુ ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે "શંકર સુવન" "વાયુપુત્ર" અને "કેશરી નંદન" પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાન જયંતીનો પર્વ ભારતમાં વિક્ર્મ સંવત/શક સંવત ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ માનવવામાં આવે છે.

ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનુ નાનુ-મોટુ મંદિર અથવા મુર્તિ ન હોય. સત્યતો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમા વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે. હનુમાનજીનુ કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!

"देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥"

દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.

Wednesday, April 8, 2009

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના...

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઉંઘ માંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમ નાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝુલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમનાં.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડ ને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીઝતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

-મણિલાલ દેસાઇ

Friday, April 3, 2009

છાનું રે છપનું કંઇ થાય નઇ...

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ… છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…

ખોબો ભરીને અમે એટલું હસ્યાં - જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

તારા વિના શ્યામ મને એકલડું લાગે

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,ચાંદની નીકળી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામતારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,રંગ કેમ જાય તારા સંગનો (2)
પાયલ ઝનકાર સુની,
નાદ સુનીરાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

મર્યાદા પુરૂષોતમ શ્રી રામ - રામનવમી


ભારતીય લોક સંસ્‍કૃતિમાં રામ અને કૃષ્‍ણ સર્વમાન્‍ય દેવતા છે. આ બંને ઈશ્‍વરીયા મહાપુરુષો એ ભારતીય સંસ્‍કૃતિમાં જે અમીટ છાપ છોડી છે તે યુગો-યુગો સુધી અમર રહેશે. આ ભારતીય સંસ્‍કૃતિમાં એટલી હદે એકરુપ થઈ ગયા છે, કે આજે પણ ભારતના કોઈપણ શહેર કે ગામડામાં બે વ્‍યકિત મળે ત્‍યારે રામ રામ કે જયશ્રી કૃષ્‍ણ નો પ્રતિસાદ અવશ્‍ય કરે છે. એકબાજુ ગોપીઓનો તરખટ કનૈયો અને બીજી બાજુ ધીરગંભીર શ્રી રામ, ભારતવાસીઓના જીવનના દરેક પાસાઓને અનેક રંગે રંગે છે, અને જીવનની પરિપૂર્ણતાનો અહેસાસ કરાવે છે.

દરેક ભારતવાસીને જયારે પણ નકારાત્‍મકતાનો અહેસાસ થાય ત્‍યારે તેના મોમાંની શ્રી રામનું નામ અવશ્‍ય બોલાય છે. ગાંધીજીએ પોતાના જીવનના દરેક પાંસાઓમાં સત્‍યનિષ્‍ઠા ઝળકી ઉઠે છે. પછી તે પિતા પ્રત્‍યેની માતા પ્રત્‍યેની કે હોય કે ગુરુ કે પછી સમાજ પ્રત્‍યેની દરેક ભારતવાસી તેમનું ઉદાહરણ ટાંકે છે. આજે પણ રામરાજય વ્‍યવસ્‍થાને શ્રેષ્‍ઠ રાજયવ્‍યવસ્‍થા તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો તે સમય હતો બપોરનાં બાર વાગ્‍યાનો તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરની દક્ષિ‍ણ અને પૂર્વથી પચ્શ્મિ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક ફરજો બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.

શ્રી રામે તેમના જીવનમાં લગભગ બધુ જ ત્‍યાંગીને છતાં પૂર્ણ પુરુષોત્‍તમ બન્યા. ઋષિ વાલ્‍મીકીએ રામાયણની રચના કરી શ્રી રામના આર્દશ જીવનના દરેક પાસાઓને આપણી સમક્ષ રજુ કર્યા. રામના આર્દશો એટલા ઉંચા હતા કે તેમને સુખ દુઃખ વચ્‍ચે બહુ તફાવત જણાતો નહિ. રામરાજા દશરથના મોટાપુત્ર હોય રાજયાસન પર બેસવાનો તેમને હકક હતો. આ માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ છેલ્‍લી ઘડીએ તેમને રાજયાસનનેં બદલે ૧૪ વર્ષ સુધી વનમાં ભટકવાનો પ્રસંગ ઉભો થયો છતાં પણ તેઓએ એકક્ષણનો પણ વિલંબ ન કર્યો, તેમણે હસતા મુખે બધુ જ છોડી દીધુ. કારણકે તેમને વ્‍યકિતગત સુખ કરતા પિતાના વચનો અને તેમના પ્રત્‍યેનો એક પુત્ર તરીકેનો આદર મુખ્‍ય હતા. અહિં તેમણે એક આદર્શ પુત્ર નું ર્દષ્‍ટાંત સમાજ સમક્ષ રજુ કર્યુ છે. રામના જીવનમાં કોઇના પ્રત્‍યે વ્‍યકિતગત વ્દેષને કોઈ સ્‍થાન નહોતું. માતા કૈંકેયીએ તેમને ૧૪ વર્ષ વનવાસ આપ્‍યો હોવાં છતાં પણ વનમાં ગયા પહેલા કે ત્‍યારપછી રાજગાદીએ બેઠા પણ માતા પ્રત્‍યે એક આદર્શ પુત્ર વર્તન કરે તેવું જ વર્તન કરેલું. રામના મૈત્રી ભાવ પણ ઉચ્‍ચકક્ષાનો હતો. સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામનો જયારે સુગ્રીવ સાથે મિલાપ થયો. ત્‍યારે તેમણે એક આદર્શ મિત્ર તરીકે સુગ્રીવનો સાથ આપેલો અને વાલીનો નાશ કરેલો. અહિં એક મિત્ર તરીકે સૌ પ્રથમ પોતે ફરજ બજાવી અને ત્‍યારબાદ સુગ્રીવની મદદ સીતાજીની શોધ કરવા અને તેમને રાવણના હાથમાંથી પાછા લાવવા માટે લીધેલી. શ્રી રામ અને સુગીવની મૈત્રીના બંધનો જીવનપર્યત અતુટ રહેલા. છેલ્‍લે જયારે રાજા સ્‍વર્ગારોહણે કરે છે ત્‍યારે સરયૂ નદીમાં પણ સુગ્રીવ તેમની સાથે જ હોય છે.

રામની અંદર કરુણાનો ભાવ પણ અનહદ હતો. રાવણના ચારિત્‍યહીન તેમજ દૂષ્‍ટતાપૂર્ણ જીવનથી કંટાળી વિભીષણ રામના પક્ષે ચાલી જાય છે, અને જયારે રામના હાથે રાવણનું મૃત્‍યુ થાય છે, ત્‍યારે તેનો અગ્નિ સંસ્‍કાર કરવાનો પણ સાફ ઈન્‍કાર કરે છે, ત્‍યારે તેને સમજાવતા જણાવે છે કે જીવનમાં વેર-ઝેર કે શત્રુતા વ્‍યકિત જીવીત હોય ત્‍યાં સુધી અસ્તિત્‍વ હોય છે. વ્‍યકિતના મૃત્‍યુ સાથે તે તમામ બાબતો પૂર્ણ વિરામ લાગી જાય છે. વિભીષણ, જો તુ એક ભાઇ તરીકે રાવણનો અગ્નિ સંસ્‍કાર નહિ કરે તો એ ભાઈ તરીકેની ફરજ મારે બજાવવી પડશે. કેવો ઉત્‍કૃટ આર્દશ. હકિકતમાં રામના જીવનમાં વ્‍યકિતગત લાભાલાભ જેવું કશું હતું જ નહિ, તેનું જીવન એક જાહેર જીવન હતું અને સમાજ પ્રત્‍યેની ફરજ તેમની પહેલી ફરજ હંમેશા બની રહેલ. એટલે જ જયારે રામના સીતાજીના ત્‍યાગને વિવાદના વમળોમાં ઘસેડવામાં આવે છે. ત્‍યારે રામે પોતાના વ્‍યકિતગત હિતને બાજુએ મુકીને એક રાજાની પોતાની પ્રજા પ્રત્‍યેની ફરજ સર્વોચ્‍ચ સ્‍થાને છે તે આદર્શ રજુ કર્યો. હકિકતમાં તેમને સીતાજી પ્રત્‍યે પ્રેમ નહોતો એવું નહોતું એટલે જ જયારે રાજસુર્ય યજ્ઞ થયો ત્‍યારે સીતાજીની સોનાની મૂર્તી બનાવીને યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યુ. રામે તેમના જીવનમાં બધાનો જ ત્‍યાગ કર્યો અને બધુ જ મેળવ્‍યું પરંતુ મેળવ્‍યા બાદ પણ કશાનો મોહ કે લોભ રાખ્‍યો નહિ. વાલીના મૃત્‍યુ બાદ હાથમાં આવેલું કિષ્કિંધા નગરીનું રાજય સુગ્રીવને સોંપી દીધુ. લંકાનું રાજય વિભીષણને આપી દીધું. આમ, રામનવમી એટલે માત્ર રામનો જન્‍મ દિવસ જ નહિ પરંતુ એક મહાન વ્‍યકિતના આદર્શ જીવનની શરુઆત, ચાલો આપણે આ રામનવમીના દિવસે શ્રી રામને યાદ કરીએ અને તેના આદર્શ જીવનને અનુસરવાનું પ્રેરણા લઈએ.

Wednesday, April 1, 2009

બાળ વાર્તા - બિરબલ ની ચતુરાઈ

ધનવાન હોય કે ગરીબ, મોટો હોય કે નાનો, સ્ત્રી હોય કે પુરુષ, બધા જ પોતાની મૂંઝવણનો ઉકેલ શોધવા બીરબલ પાસે મદદ માંગવા આવતાં હતાં.

એક દિવસ એક વિધવા સ્ત્રી બીરબલ પાસે આવી: ‘મદદ...મદદ... બીરબલ બેટા! મારી મદદ કર. મને ઠગી લેવામાં આવી છે.’

‘કોણે ઠગી લીધા?’ બીરબલે તે સ્ત્રીને પાસે બેસાડી પૂછ્યું.

‘વાત થોડી લાંબી છે, બેટા! છ મહિના પહેલા મેં તીર્થયાત્રો જવાનો નિર્ણય કર્યો, પરંતુ મને મારી પાઇ-પાઇ ભેગી કરીને જમા કરેલી પૂંજીની ચિંતા હતી. સમજણ નહોતી પડતી કે એને કયાં મુકુ?

‘હં, પછી શું થયું?’

‘ઘણુ વિચાર્યા પછી છેવટે હું એક સાધુ મહારાજ પાસે ગઇ. લોકો કહેતા હતા કે એ સાધુ મહારાજ ઘણા ઇમાનદાર છે. તેમની પાયે જઇને મેં કહ્યું કે ‘મહારાજ! આ તાંબાના સિક્કાની થેલી મારા આખા જીવનની પૂંજી છે. મહેરબાની કરી તમે એને તમારી પાસે રાખો. તમારી પાસે એ સુરક્ષિત રહેશે. યાત્રાએથી પાછા આવ્યા બાદ હું તેને લઇ જઇશ.’

ત્યારે સાધુ મહારાજ બોલ્યા:

‘માઇ! તારી મુશ્કેલીમાં તને મદદ નથી કરી શકતો તેનું દુ:ખ છે, હું આ સંસારી ખટપટોમાં કે ઝંઝટોમાં પડતો નથી. રૂપિયા-પૈસા, માયાને તો હું હાથ પણ નથી લગાડતો, પરંતુ તારી મજબૂરી એવી છે કે હું તને મદદ કર્યા વિના પણ નથી રહી શકતો.’

‘તું એક કામ કર. મારી ઝૂંપડીમાં ગમે ત્યાં ખાડો ખોદી આ થેલી દાટી દે, અને તીર્થયાત્રા કરીને પાછી આવે ત્યારે તારી જાતે જ આ થેલી કાઢી લેજે.’ એ સાધુ મહારાજે મને કહ્યું.

એમના કહેવાથી મેં ઝૂંપડીના એક ખૂણામાં ખાડો ખોધો અને થેલી તેમાં દાટી દીધી. હવે મને નિરાંત હતી કે મારા પૈસા સુરક્ષિત રહેશે.’

‘તીર્થયાત્રાએથી પાછા ફર્યા બાદ હું સાધુ મહારાજ પાસે મારું ધન લેવા માટે ગઇ.’

‘તું કયા ધનની વાત કરે છે?’ સાધુ મહારાજે મને પૂછ્યું.

‘તાંબાના સિક્કાની એ થેલી, જેને મેં તમારી ઝૂંપડીમાં દાટી હતી.’ મેં કહ્યું.

‘તને તો ખબર જ હશે કે કયાં દાટી હતી? ખોડીને લઇ લે અને સાંભળ, મારી આગળ ધનનું નામ પણ ન લેતી. હું આ શબ્દ જરાયે સાંભળવા માંગતો નથી.’ સાધુ મહારાજે કહ્યું.

મેં જયાં થેલી દાટી હતી, એ જગ્યાએ ખાડો ખોધો તો મારી આંખે અંધારા છવાઇ ગયા. ત્યાંથી સિક્કાની થેલી ગાયબ હતી. મને મારી આંખ પર ભરોસો ન આવ્યો. મેં ખાડો વધુ ઊંડો ખોધો, પરંતુ થેલી ન મળી.

હું દોડતી મહારાજ પાસે આવી. ‘મહારાજ...મહારાજ... મારા પૈસા? મારી થેલી કયાં ગઇ?’

‘ચાલ દૂર ખસ ડોશી. મને આ સંસારી મોહમાયા તેમજ ઝંઝટમાં ન ફસાવ.’

‘પરંતુ , મહારાજ! મેં તો થેલી અહીં જ દાટી હતી... ત્રણ મહિના પહેલાં... તમારી નજર સામે જ...’

‘બનવાજોગ છે, પરંતુ આ પ્રપંચભર્યા સંસારમાં શું બની રહ્યું છે તેની મને સહેજે જાણ નથી અને હું જાણવા પણ નથી માગતો. હું તો માત્ર રામ-નામનું ઘ્યાન રાખું છું. મારા કાન એક જ નામ સાંભળે છે-રામ! મારી આંખો એક છબી જુએ છે - રામ!’

‘પછી શું થયું?’ બીરબલે પૂછ્યું.

‘પછી શું થાય? હું રડતી-કકળતી પાછી આવી.’

‘માજી! તમારા કહેવાનો અર્થ એ છે કે સાધુએ જ તમારા પૈસા હજમ કરી લીધા છે?’ બીરબલે પૂછ્યું.

‘ચોક્કસ, એમાં શંકાને કોઇ સ્થાન નથી. દુ:ખ એ વાતનું છે કે મારી પાસે કોઇ સાબિતી નથી.’ ઘરડી સ્ત્રીએ બીરબલને બધી વિગત કહી સંભળાવી.

બધી વાત સાંભળીને બીરબલ ઊંડા વિચારોમાં ગરકાવ બની ગયો. થોડીવાર બાદ તેણે કહ્યું: ‘સારું, હું વહેલી તકે સત્ય શોધી કાઢીશ. હવે તમે મારી વાત ઘ્યાનથી સાંભળો.’ બીરબલે તેને નજીક બોલાવીને કશી સમજણ પાડી.

બીરબલે તેને થોડા દિવસ બાદ આવવાનું કહ્યું. થોડા દિવસ બાદ વિધવા સ્ત્રી ફરી બીરબલ પાસે આવી. બીરબલ તેને લઇને સાધુ મહારાજ રહેતા હતા તે સ્થાને આવ્યો.

‘એ સામે દેખાય છે એ જ ઝૂંપડી છે.’ સ્ત્રીએ બીરબલને કહ્યું.

‘સારું હવે તમે આ ઝાડ પાછળ સંતાઇ જાવ અને ઘ્યાન રાખજો, તમે ઝૂંપડીમાં એ જ વખતે દાખલ થજો જયારે હું બીજીવખત પ્રણામ કરું.’

‘ભલે સરકાર.’

‘બરાબર યાદ રાખજો. બીજી વાર પ્રણામ કરું ત્યારે જ તમારે ઝૂંપડીમાં આવવાનું. એક ક્ષણ વહેલા નહિ કે એક ક્ષણ મોડા પણ નહી.’

‘હું બરાબર યાદ રાખીશ અને તમે કહ્યુ તેમ બરાબર સમયસર ઝૂંપડીમાં પ્રવેશ કરીશ.’

બીરબલ સાધુ મહારાજની ઝૂંપડીમાં પહોંરયો.

‘રામ રામ મહારાજ!’ બીરબલે અંદર પ્રવેશ કરી કહ્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

‘દીઘાર્યુ ભવ બચ્ચા!’ સાધુએ આશિર્વાદ આપ્યા.

‘તમારી આઘ્યાત્મિકતા અને તપના ગુણગાન મેં ઘણાં લોકોના મુખે સાંભળ્યા હતા. આજે આપનાં દર્શન કરવાનું અને આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ ગયું.’

સાધુ મહારાજની નજર બીરબલ પાસેની લાકડાની પેટી પર પડી. તે વિચારવા લાગ્યા કે જરૂર પેટીમાં સોનાનાં આભૂષણો હશે.

‘મહાત્માજી! અમારા જેવા સંસારી જીવોની પાછળ કોઇને કોઇ ઝંઝટ સમસ્યા લાગેલી જ હોય છે. હું તમને એક કષ્ટ આપવા આવ્યો છું, પરંતુ કહેતા સંકોચ થાય છે. કદાચ...’

‘બોલ બચ્ચા! સંકોચ ન રાખ. કદાચ હું તારી મદદ કરી શકું.’ સાધુ મહારાજે પેટી પર નજર રાખતાં અને દાઢી ઉપર હાથ ફેરવતા કહ્યું :

‘ના, ના જવા દો મહારાજ. આપ તો સંસાર ત્યાગી ચૂકયા છો. મોહ-માયા છોડી દીધી છે. નાહક સંસારી વિટંબણાઓમાં તમને શા માટે નાખું?’ બીરબલે કહ્યું.

સાધુ મહારાજે વિચારવા લાગ્યા કે શિકાર હાથમાંથી છટકી રહ્યો છે. એ કદાચ પેટી લઇને પાછો જતો રહેશે.

‘બેટા! નિશ્ચિંત બનીને તારી સમસ્યા કહે. હું મારાથી બનતી મદદ કરીશ.’

‘પરંતુ...પરંતુ...આ છળ કપટથી ભરેલી દુનિયામાં હું વિશ્વાસ કરું તો પણ કોનો કરું? મને માર્ગદર્શન આપો.’

‘આ માણસનું હ્યદય ડામાડોળ થઇ રહ્યું છે. મારે ગમે તે રીતે પણ આ પેટી કબજે કરવી જ પડશે.’ સાધુ મહારાજ મનોમન વિચાર કરવા લાગ્યા.

‘દીકરા! દિલમાં સહેજે ખચકાટ રાખ્યા વગર જે કાંઇ હોય તે કહી શંભળાવ. હું અવશ્ય તારી મદદ કરીશ. બીજાના કષ્ટોનું નિવારણ કરવું એ તો અમારો ધર્મ છે.’ સાધુએ કહ્યું.

‘મહાત્મા! મારે મારા ભાઇને મળવા અજમેર જવું છે. મારી પાસે આ બહુમૂલ્ય રત્નોની પેટી છે. શું હું આ પેટી તમારી પાસે મૂકીને જઇ શકું છું?’

‘ઓહ! બહુમૂલ્ય રત્નો. મેં ઠીક જ વિચાર્યુ હતું.’ સાધુ બીરબલની વાત સાંભળી મનોમન વિચારવા લાગ્યો.

‘દીકરા! ધન-સંપત્તિ એ બધી મોહમાયા છે અને મોહમાયાને હું ત્યાગી ચૂકયો છું. એના નામથી પણ મને ધૃણા છે. પરંતુ પરંતુ મેં તને સહાયતા કરવાનું વચન આપ્યું છે. હું પ્રભુનો સેવક છું. હું ધનને હાથ પણ લગાવતો નથી. એક કામ કર. તું તારા હાથે આ પેટી અહીં કયાંક દાટી દે. અહીં તારું ધન તદન સલામત રહેશે.’

‘આપ ખરેખર ઘણા જ દયાળુ છો. મહાન છો.’ બીરબલે કહ્યું : ‘હું હંમેશા તમારો આભારી રહીશ. હું તમારી મહાનતાને પ્રણામ કરું છું.’ આટલું કહી બીરબલે બીજીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

બહાર ઝાડ પાછળ સંતાયેલી સ્ત્રી અંદર ચાલતો વાર્તાલાપ ઘ્યાનથી સાંભળી રહી હતી. બીરબલે જયારે બીજી વાર પ્રણામ કર્યા ત્યારે એ જાણી ગઇ કે બીરબલે તેને ઝૂંપડીમાં આવવાનો સંકેત આપી દીધો છે. તે તરત જ ઝૂંપડીમાં પ્રવેશી.

ડોશીને જોઇને સાધુ ચોંકી ઉઠયો અને મનોમન વિચારવા લાગ્યો : ‘આ દુષ્ટાને પણ અત્યારે જ આવવાનો સમય મળ્યો. જો અત્યારે તેણે તેની પૂંજી માટે કકળાટ ચાલુ કર્યો તો મારી આખી બાજી બગડી જશે. ડોશીના થોડાક તાંબાના સિક્કા માટે મારે બહુમૂલ્ય રત્નોથી હાથ ધોવા પડશે. ના, ના, આવું નહી બનવા દઉં.’

‘સારું થયું તું પાછી આવી માઇ. હું તારા ધનની થેલી વિશે જ વિચારતો હતો. મને પાકો વિશ્વાસ છે કે તે દિવસે તેં ભૂલ કરી હશે.’

‘પરંતુ મહારાજ...’

‘તું સાચી જગ્યા ભૂલી ગઇ હશે. મને યાદ છે, ત્યાં સુધી તેં તારું ધન આ ખૂણામાં સંતાડયું હતું. તું આ ખૂણામાં ખાડો ખોદ.’ મહારાજે બીજી દિશા તરફના ખૂણા તરફ આંગળી બતાવી.

ડોશીએ એ સ્થાને ખોદવા માંડયું. થોડું ખોદતાં જ તેને એના ધનની થેલી મળી આવી.

‘તમે સાચું કહેતા હતા, મહારાજ! મારી થેલી ખરેખર એ સ્થાને જ હતી.’ ડોશી ખુશ થતાં બોલી.

‘મૂર્ખ સ્ત્રી! પોતાનું ધન એક જગ્યાએ સંતાડી બીજા સ્થાને શોધે તો પછી કયાંથી મળે? ધનથી ચિંતા ઉત્પન્ન થાય છે અને ચિંતા માણસની સ્મરણશકિત નષ્ટ કરી નાખે છે. માણસ પાગલ જેવો બની જાય છે.

પછી બીરબલ સામે જોઇ સાધુ બોલ્યો : ‘એનું ધન ન મળવાથી ડોશી મારા પર જ ચોરીનો આરોપ મૂકતી હતી.’ મહારાજે બીરબલને પોતાની સફાઇ આપતાં કહ્યું.

‘ખરેખર, ઘડપણમાં બુદ્ધિ નષ્ટ થઇ જાય છે.’ બીરબલે પણ એના સૂરમાં સૂર પૂરાવ્યો.

પેલી વિધવા સ્ત્રી પૈસા લઇને રવાના થઇ એટલે સાધુએ બીરબલને કહ્યું : ‘બેટા! તારી પેલી પેટી આ ઝૂંપડીમાં જયાં ઇરછા હોય ત્યાં દાટી દે. અને સ્થાન ખાસ યાદ રાખજે. મને આ સંસારી વાતોથી શું લેવા-દેવા?’

એ જ વખતે બીરબલનો એક સેવક ઝૂંપડીમાં પ્રવેશ્યો.

‘માલિક! તમારા ભાઇ તમને મળવા આવ્યા છે. હમણાં જ તમને મળવા માંગે છે. ઘરે રાહ જોઇને બેઠા છે.’

‘અરે, એ અહીંયા આવ્યા છે? સારું થયું. હવે મારે અજમેર નહિ જવું પડે.’

આટલું કહીને બીરબલે પેટી સેવકને આપી અને મહારાજને પ્રણામ કરતાં કહ્યું: ‘તમારી કૃપા માટે ઘણો ઘણો આભાર મહારાજ. હવે પછી કયારેય તમારી સેવાની જરુર પડશે તો હું તમારી પાસે આવીશ. તમારા જેવા ત્યાગી અને જ્ઞાની મહારાજ ભાગ્યે જ મળે છે.’ અને બીરબલ ઝૂંપડીની બહાર નીકળી ગયો.

સાધુ માથું કુટતો રહી ગયો. રત્નોની પેટી લેવા જતાં તાંબાના પૈસા પણ હાથમાંથી ગયા. મિષ્ટાન્નની લાલચે સૂકો રોટલો પણ હાથમાંથી ગયો.

Tuesday, March 31, 2009

રમતું નગર મળે ન મળે...

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

મઝા અનેરી હોય છે...

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે...

મારી હૂંડી સ્વીકારો મહારાજ, શામળા ગિરધારી
– નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

Thursday, March 26, 2009

નરસિંહ મહેતા – નારાયણનું નામ જ લેતાં...

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

Wednesday, March 25, 2009

એક સપનુ ભગવાન સાથે...

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.

બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.

અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ.

તે ઈશ્વર પર નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે.
એ વખતે મેં તને તેડી લીધેલો.

"આભમાં ઊગેલ ચાંદલો" - શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.

ઝવેરચંદ મેઘાણી - 'રાષ્ટ્રીય શાયર'

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાથા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્ક્રુતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્તા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગલેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેઓ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહીત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહીત્યનાં પરીચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાઈ થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુર્બાનીનાં પુષ્પો' ની રચનાં કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'કાવ્ય ત્રુપ્તી' ની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમી નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

---------જીવન ઝરમર---------

નામ : ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮-૦૮-૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ : ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર : મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ : સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’

અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

જીવવા માટે પણ સમય નથી...

દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે, પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ, મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે, પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ, જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ, શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને, જીવવા માટે પણ સમય નથી....

Monday, March 23, 2009

રાજન્ કયો માણસ મરેલો કહેવાય ???

રાજા નો એક નોકર પાલખી છોડી ને જતો રહ્યો. બાકી ના ત્રણ નોકરો જડભરત ને પાલખી ઉપાડવા પકડી લાવ્યા.

જડભરત જીવહિંસા ન થાય તેનું ધ્યાન રાખી વારે ઘડીયે ઉંચા નીચા થતા તેથી પાલખી સરખી ચાલતી નહીં. રાજા ને આને કારણે તકલીફ થતી તેથી બોલ્યો – આ કોણ મરેલો મરેલો ચાલે છે ?

જડભરત નો જવાબ હતો કે –

“જે માણસનો ભાર ચાર જણ ખભાપર ઉંચકી ને જતા હોય તે માણસ મરેલો કહેવાય…. સ્મશાન માં જતી ઠાઠડી નો ભાર ચાર જણ વચ્ચે જેમ વહંચાય તેમ… તેથી હે રાજન મરેલો કોણ છે. તે તો જાહેર છે. વળી હું તો આજ રીતે ચાલીશ કારણ કે મારા પગ નીચે કીડી મંકોડા ચગડાઈ ને મરે તે મને મંજુર નથી કારણ કે હું કોઈ જીવને જીવાડી શકતો નથી તો પછી મને મારવાનો પણ કોઈ અધિકાર નથી. થોડોક શ્વાસ ખાઈ ને જડભરતજી એ કહેવા નું ચાલુ રાખ્યું કે રાજન્ કયો માણસ મરેલો કહેવાય તેની તમને ખબર નથી પણ મને છે. જે માણસ બીજા ની કમાણી નું ખાય…. જે પોતાના જીવન માટે બીજાની પાસે મહેનત કરાવે તથા જે અન્ય નું શોષણ કરી પોતાનો નિર્વાહ કરે તે માણસ મરેલો કહેવાય. હું તેમાનુ કશુ કરતો નથી તેથી તમે જાતે નક્કી કરો કે કોણ શું છે ? “

રાજા એ જડભરત ના વાક્યો પર વિચાર કરી ને પાલખી રોકી તેમને પગે પડ્યો, અને સ્વાશ્રયી અને પરગજુ જીવનાની પ્રતિજ્ઞા લીધી.

Thursday, March 19, 2009

એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

પોતાના 'પ્રોજેક્ટ'ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ,
મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,
શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી,
'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,
શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?
આ જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,
આ જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,
'ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,
હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,
અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

વરસોનાં વરસ લાગે...

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે