Tuesday, February 8, 2011
તમે એટલે આપણા સંબંધો...
હમણાં એક ઓટોરિક્ષા પાછળ સરસ વાક્ય વાંચવા મળ્યું. એક જ વાક્યમાં જીવનની પ્રાયોરિટીઝ અને ફિલોસોફી વ્યક્ત થતી હતી. રિક્ષા પાછળ લખ્યું હતું કે ફર્સ્ટ ગોડ, સેકન્ડ યુ એન્ડ થર્ડ મી. મતલબ કે પહેલો ભગવાન, બીજા તમે અને અને ત્રીજો હું. સૌથી પહેલા ઈશ્વરને મૂકીએ એ તો જાણે બરાબર છે પણ બીજા અને ત્રીજા ક્રમમાં માણસ ઘણી વખત થાપ ખાય જાય છે. સૌથી મોટો સવાલ એ થાય કે તમે અથવા તો તું એટલે કોણ?
તમે એટલે આપણા સંબંધો. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તમે કોને પહેલી જાણ કરો છો? જે વ્યક્તિ સૌથી નજીક હોય તેને કાયમ દિલથી જકડી રાખવી. એ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ.
સંવેદનાના તમામ તાર ઝણઝણાવી દે તેવી એક વાત સાંભળવી ગમે તેવી છે. એક પતિ-પત્ની હતાં. પચીસ વર્ષનું લગ્નજીવન. મોટી ઉંમરે પત્ની અલ્ઝાઇમરની બીમારીનો ભોગ બની. જિંદગીની તમામ જૂની પળો અને સ્મરણો મગજની પાટીમાંથી ભૂંસાઈ ગયાં. કંઈ જ યાદ ન રહ્યું. પત્નીની હાલત એટલી બગડી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
પતિ દરરોજ સાંજે હોસ્પિટલમાં જાય અને પત્નીને પ્રેમથી જમાડે. પત્નીનું વર્તન સાવ અજાણી વ્યક્તિ જેવું જ રહે. હોસ્પિટલની એક નર્સ દરરોજ આ દ્રશ્ય જુએ. એક દિવસ નર્સથી ન રહેવાયું. પેલા વૃદ્ધ પાસે જઈને નર્સે કહ્યું કે, તમે અહીં ખોટા ધક્કા ખાવ છો. તમારી પત્નીને કંઈ જ યાદ નથી. એ તો હવે તમને ઓળખતી પણ નથી.
નર્સની આ વાત સાંભળીને વૃદ્ધે તેની સામે જોયું. વૃદ્ધ એટલું જ બોલ્યા કે એ મને નથી ઓળખતી, પણ હું તો તેને ઓળખું છું ને! આવી વ્યક્તિઓની વાત સાંભળીએ ત્યારે એવું થાય કે આવા લોકો પોતે પોતાને સારી રીતે ઓળખતા હોય છે. આપણા માટે સવાલ એ જ હોય છે કે આપણે આપણને પૂરેપૂરા ઓળખીએ છીએ ખરાં? આ પ્રશ્નનો જવાબ મળી જાય તો પછી આપણા તમામ સંબંધો કોઈ પણ સંજોગોમાં ઓગળતા નથી.
ઘણી વખત સંબંધો આપણી સામે સવાલ અને સમસ્યા બનીને ઊભા રહે છે. ભગવદ્ ગીતાને યાદ કરો. ધર્મયુદ્ધ વખતે સામા પક્ષે પોતાના જ સ્વજનોને જોઈ અર્જુન હતાશ થઈ ગયા હતા. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણે કહેલી વાત યાદ રાખવા જેવી છે. ગીતાનો મર્મ એ જ છે કે જ્યારે સત્ય આપણા પક્ષે હોય ત્યારે લડી લેવામાં પણ કંઈ જ ખોટું કે અયોગ્ય નથી. આવી પરિસ્થિતિ આવે ત્યારે સૌથી પહેલાં એ જ વિચારવાનું હોય છે કે સંબંધોનું સત્ય તો આપણા પક્ષે છે ને?
સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જીરવવા છે. સંબંધોને તોડવા તો અત્યંત સહેલા છે. સંબંધોમાં જો સત્વ હોય તો પછી સહેલા કે અઘરાનો સવાલ જ ઊભો નથી થતો, બધું જ એકદમ સરળ લાગે છે. છતાં જે સરળ હોય છે એને જ સમજવું સૌથી અઘરું પડતું હોય છે!
છેલ્લો સીન :
તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી. બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.
સૌજન્ય :કૃષ્ણકાંત ઉનડકટ
Monday, August 16, 2010
સાચો પ્રેમ ? એ વળી શું ?
એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણી મારફત મેસેજ મોકલીને પાર્થને કેન્ટિનમાં મળવા બોલાવ્યો. પાર્થને પણ દેખાવડી કન્યામાં રસ પડયો હતો એટલે એ મળવા આવ્યો. બંને વાતોએ વળગ્યા અને વાતવાતમાં પ્રીતિએ પાર્થને ડેટિંગ પર જવાની ઓફર કરી. પાર્થે થોડા સંકોચ સાથે કહ્યું, 'સૉરી, આ સન્ડે તો હું મારી સ્કૂલની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો છું.' પ્રીતિએ આ સાંભળી જરાય નાસીપાસ થયા વિના બીજી ઓફર કરી, 'તો પછી નેકસ્ટ સન્ડે ડેટ પર જવાનું રાખીએ. આ સન્ડે હું પણ મારા જુના બોયફ્રેન્ડ વિનીત સાથે ડેટ પર જઇ આવું.' પાર્થે પ્રીતિની નવી ઓફર સ્વીકારી અને બંનેની ફ્રેન્ડશીપ પર મહોર લાગી ગઇ. ધીમે ધીમે પાર્થ- પ્રીતિ વચ્ચેની દોસ્તી પાકી થતી ગઇ અને વિનીત આપોઆપ પ્રીતિથી દૂર થઇ ગયો. આ જોઇ એકવાર કેન્ટિનમાં પ્રીતિની ખાસ ફ્રેન્ડ પલ્લવીએ એને પૂછી લીધુ, 'પ્રીત, તે પાર્થ માટે વિનીતને છોડી દીધો કે શું? એ બિચારો કેવો દેવદાસ થઇને ફરે છે! તારે આવુ નહોતુ કરવું જોઇતું.' આ સાંભળી પ્રીતિએ ખિલખિલાટ હસતા પલ્લવી સમક્ષ પોતાનું દિલ ખોલ્યું, 'પલ્લી, વિનીત બહુ સારો છોકરો છે, હેન્ડસમ છે, સ્વભાવનો સારો છે પણ એની પાસે ઓપલ એસ્ટ્રા અને બ્લેક બેરી નથી. એટલે હું એને લાઇફ પાર્ટનર બનાવવાનું કદી સ્વપ્ને પણ ન વિચારૃ. જયારે પાર્થ પાસે મને આપવા માટે બધુ જ છે. એ મને મેરેજ માટે પ્રપોઝ કરશે તો હું ના નહિ કહું આફટર ઑલ, આઇ વાન્ટ ટુ એન્જોય માય લાઇફ.'
અઢાર વરસની કાચી વયે પ્રેમને ભૌતિકતાના ત્રાજવામાં તોલી શકે છે. એ નવા જમાનાની તાસિર છે.
જીવનમાં નવું શું છે ?
ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.
અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?
જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !
ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે?‘
Friday, February 26, 2010
દિલ પૂછે છે મારૂં...
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં,લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?...
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.