પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે
વાદળાની વચ્ચે
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.
મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યુંછે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી
મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…!
હું જાણું છું તારે’યઘણાયને પૂછવું પડે એમ છે.
જલ્દી કરજે
ભગવાન…સમય બહું ઓછો છે
તારી પસે…અને મારી પાસે પણ…!
લી.
એક શાળાનો ગરીબ વિદ્યાર્થી
Monday, April 19, 2010
Subscribe to:
Posts (Atom)