Tuesday, March 31, 2009

રમતું નગર મળે ન મળે...

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

મઝા અનેરી હોય છે...

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે...

મારી હૂંડી સ્વીકારો મહારાજ, શામળા ગિરધારી
– નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

Thursday, March 26, 2009

નરસિંહ મહેતા – નારાયણનું નામ જ લેતાં...

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

Wednesday, March 25, 2009

એક સપનુ ભગવાન સાથે...

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.

બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.

અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ.

તે ઈશ્વર પર નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે.
એ વખતે મેં તને તેડી લીધેલો.

"આભમાં ઊગેલ ચાંદલો" - શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.

ઝવેરચંદ મેઘાણી - 'રાષ્ટ્રીય શાયર'

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાથા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્ક્રુતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્તા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગલેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેઓ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહીત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહીત્યનાં પરીચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાઈ થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુર્બાનીનાં પુષ્પો' ની રચનાં કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'કાવ્ય ત્રુપ્તી' ની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમી નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

---------જીવન ઝરમર---------

નામ : ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮-૦૮-૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ : ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર : મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ : સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’

અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

જીવવા માટે પણ સમય નથી...

દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે, પણ મા ની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ, મિત્રતા માટે સમય નથી
પારકા ઓ ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે, પણ સુવા મટે સમય નથી
દિલ છ ગમો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનો ની શુ કદર કરીએ, જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ, શુ થશે આ જિંદગી નુ
દરેક પળે મરવા વાળા ને, જીવવા માટે પણ સમય નથી....

Monday, March 23, 2009

રાજન્ કયો માણસ મરેલો કહેવાય ???

રાજા નો એક નોકર પાલખી છોડી ને જતો રહ્યો. બાકી ના ત્રણ નોકરો જડભરત ને પાલખી ઉપાડવા પકડી લાવ્યા.

જડભરત જીવહિંસા ન થાય તેનું ધ્યાન રાખી વારે ઘડીયે ઉંચા નીચા થતા તેથી પાલખી સરખી ચાલતી નહીં. રાજા ને આને કારણે તકલીફ થતી તેથી બોલ્યો – આ કોણ મરેલો મરેલો ચાલે છે ?

જડભરત નો જવાબ હતો કે –

“જે માણસનો ભાર ચાર જણ ખભાપર ઉંચકી ને જતા હોય તે માણસ મરેલો કહેવાય…. સ્મશાન માં જતી ઠાઠડી નો ભાર ચાર જણ વચ્ચે જેમ વહંચાય તેમ… તેથી હે રાજન મરેલો કોણ છે. તે તો જાહેર છે. વળી હું તો આજ રીતે ચાલીશ કારણ કે મારા પગ નીચે કીડી મંકોડા ચગડાઈ ને મરે તે મને મંજુર નથી કારણ કે હું કોઈ જીવને જીવાડી શકતો નથી તો પછી મને મારવાનો પણ કોઈ અધિકાર નથી. થોડોક શ્વાસ ખાઈ ને જડભરતજી એ કહેવા નું ચાલુ રાખ્યું કે રાજન્ કયો માણસ મરેલો કહેવાય તેની તમને ખબર નથી પણ મને છે. જે માણસ બીજા ની કમાણી નું ખાય…. જે પોતાના જીવન માટે બીજાની પાસે મહેનત કરાવે તથા જે અન્ય નું શોષણ કરી પોતાનો નિર્વાહ કરે તે માણસ મરેલો કહેવાય. હું તેમાનુ કશુ કરતો નથી તેથી તમે જાતે નક્કી કરો કે કોણ શું છે ? “

રાજા એ જડભરત ના વાક્યો પર વિચાર કરી ને પાલખી રોકી તેમને પગે પડ્યો, અને સ્વાશ્રયી અને પરગજુ જીવનાની પ્રતિજ્ઞા લીધી.

Thursday, March 19, 2009

એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

પોતાના 'પ્રોજેક્ટ'ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ,
મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,
શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી,
'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,
શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?
આ જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,
આ જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

'પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,
'ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,
હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,
અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

વરસોનાં વરસ લાગે...

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફ નો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદ્દ્ભાગ્યે કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

લાગ્યો કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ – રાજ મને...

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ – રાજ મને...

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ – રાજ મને...

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વ્હાલી દિલદારાન પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ મને...

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ – રાજ મને...

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ – રાજ મને...


ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ – રાજ મને...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલા હો !
લેજો કસુંબીનો રંગ – રાજ મને...

- ઝવેરચંદ મેઘાણી

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

હે રંગલો....

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…

હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.

હે હે હે…..હે જી
સાંજ ને સુમારે જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..

હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

Wednesday, March 18, 2009

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

થોડુ ગિરનાર પર્વત વિશે...

ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ જીલ્લામાં આવેલ પર્વતોનો સમુહ છે. તેમાંનો ઊંચામાં ઊંચો પર્વત ૯૪૫ મી. (૩૧૦૦ ફીટ) છે જે ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતના ધાર્મિક શ્થળો માનો એક છે.જે અમદાવાદ થી ૩૨૭ કી.મી. દૂર જુનાગઢ મા આવેલ છે.

આ એક પવિત્ર સ્થળ અને હિન્દુ તથા જૈન લોકો માટે મહત્વનુ યાત્રાધામ છે.અહીં ઘણાબધા મંદિરો આવેલા છે.સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનુ ધાર્મિક વાતાવરણ રચે છે.આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમ ધર્મ શ્થાનકો મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની "અનેકતા મા એકતા" નુ સચોટ ઉદાહરણ પૂરૂ પાડે છે.

મારે ફરી એક વાર શાળાએ જવું છે...

હાલો ને આપણા મલક મા....

આપણા મલક ના માયાળુ માનવિ
માયા મેલિને વયા જાવ મારા મેરબાં .. હાલો ને આપણા મલક મા

આપણા મલક મા દાતાણ દાળમિ
દાતણિયા કરિ ઘોડે ચડ જો મારા મેરબાં .. હાલો ને આપણા મલક મા

આપણા મલક મા નાવણ કુંડીયા
નાવણીયા કરિ ઘોડે ચડ જો મારા મેરબાં .. હાલો ને આપણા મલક મા

આપણા મલક મા ભોજન લાપસિ
ભોજનીયા કરિ ઘોડે ચડ જો મારા મેરબાં .. હાલો ને આપણા મલક મા

આપણા મલક મા પોઢણ ઢોલિયા
પોઢણીયા કરિ ઘોડે ચડ જો મારા મેરબાં .. હાલો ને આપણા મલક મા

હાલો ને આપણા મલક મા....