Tuesday, February 8, 2011

તમે એટલે આપણા સંબંધો...

માણસ માટે જિંદગીમાં સૌથી મહત્ત્વનું શું હોય છે? તમને તમારી જિંદગીની પ્રાયોરિટીઝના નંબર આપવાનું કહે તો તમે સૌથી પહેલો ક્રમ કોને આપો? દરેક વ્યક્તિ માટે તેના સંબંધો, દોસ્તી, પ્રેમ, પરિવાર અને કરિયર મહત્ત્વનાં હોય છે, આમ છતાં દરેક વ્યક્તિ માટે આ બધાંનું મહત્ત્વ થોડુંઘણું જુદુંજુદું હોય છે. ઘણી વખત એવી સ્થિતિ હોય છે કે આપણી એક તરફ કારકિર્દી હોય છે અને એક તરફ પરિવાર. બંને વચ્ચે એકસરખું અને બરાબરનું બેલેન્સ જાળવવું પડતું હોય છે. આપણે કોઈ એક તરફ સોએ સો ટકા વળી શકતા નથી. સંબંધોનું આ બેલેન્સ જો ડગમગે તો માણસની હાલત ડામાડોળ થઈ જાય છે. સમયાંતરે માણસે એ વિચારતા રહેવું જોઈએ કે મારી જિંદગીનાં બંને ત્રાજવાં બરાબર તો છે ને?

હમણાં એક ઓટોરિક્ષા પાછળ સરસ વાક્ય વાંચવા મળ્યું. એક જ વાક્યમાં જીવનની પ્રાયોરિટીઝ અને ફિલોસોફી વ્યક્ત થતી હતી. રિક્ષા પાછળ લખ્યું હતું કે ફર્સ્ટ ગોડ, સેકન્ડ યુ એન્ડ થર્ડ મી. મતલબ કે પહેલો ભગવાન, બીજા તમે અને અને ત્રીજો હું. સૌથી પહેલા ઈશ્વરને મૂકીએ એ તો જાણે બરાબર છે પણ બીજા અને ત્રીજા ક્રમમાં માણસ ઘણી વખત થાપ ખાય જાય છે. સૌથી મોટો સવાલ એ થાય કે તમે અથવા તો તું એટલે કોણ?

તમે એટલે આપણા સંબંધો. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તમે કોને પહેલી જાણ કરો છો? જે વ્યક્તિ સૌથી નજીક હોય તેને કાયમ દિલથી જકડી રાખવી. એ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ.

સંવેદનાના તમામ તાર ઝણઝણાવી દે તેવી એક વાત સાંભળવી ગમે તેવી છે. એક પતિ-પત્ની હતાં. પચીસ વર્ષનું લગ્નજીવન. મોટી ઉંમરે પત્ની અલ્ઝાઇમરની બીમારીનો ભોગ બની. જિંદગીની તમામ જૂની પળો અને સ્મરણો મગજની પાટીમાંથી ભૂંસાઈ ગયાં. કંઈ જ યાદ ન રહ્યું. પત્નીની હાલત એટલી બગડી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

પતિ દરરોજ સાંજે હોસ્પિટલમાં જાય અને પત્નીને પ્રેમથી જમાડે. પત્નીનું વર્તન સાવ અજાણી વ્યક્તિ જેવું જ રહે. હોસ્પિટલની એક નર્સ દરરોજ આ દ્રશ્ય જુએ. એક દિવસ નર્સથી ન રહેવાયું. પેલા વૃદ્ધ પાસે જઈને નર્સે કહ્યું કે, તમે અહીં ખોટા ધક્કા ખાવ છો. તમારી પત્નીને કંઈ જ યાદ નથી. એ તો હવે તમને ઓળખતી પણ નથી.

નર્સની આ વાત સાંભળીને વૃદ્ધે તેની સામે જોયું. વૃદ્ધ એટલું જ બોલ્યા કે એ મને નથી ઓળખતી, પણ હું તો તેને ઓળખું છું ને! આવી વ્યક્તિઓની વાત સાંભળીએ ત્યારે એવું થાય કે આવા લોકો પોતે પોતાને સારી રીતે ઓળખતા હોય છે. આપણા માટે સવાલ એ જ હોય છે કે આપણે આપણને પૂરેપૂરા ઓળખીએ છીએ ખરાં? આ પ્રશ્નનો જવાબ મળી જાય તો પછી આપણા તમામ સંબંધો કોઈ પણ સંજોગોમાં ઓગળતા નથી.

ઘણી વખત સંબંધો આપણી સામે સવાલ અને સમસ્યા બનીને ઊભા રહે છે. ભગવદ્ ગીતાને યાદ કરો. ધર્મયુદ્ધ વખતે સામા પક્ષે પોતાના જ સ્વજનોને જોઈ અર્જુન હતાશ થઈ ગયા હતા. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણે કહેલી વાત યાદ રાખવા જેવી છે. ગીતાનો મર્મ એ જ છે કે જ્યારે સત્ય આપણા પક્ષે હોય ત્યારે લડી લેવામાં પણ કંઈ જ ખોટું કે અયોગ્ય નથી. આવી પરિસ્થિતિ આવે ત્યારે સૌથી પહેલાં એ જ વિચારવાનું હોય છે કે સંબંધોનું સત્ય તો આપણા પક્ષે છે ને?

સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જીરવવા છે. સંબંધોને તોડવા તો અત્યંત સહેલા છે. સંબંધોમાં જો સત્વ હોય તો પછી સહેલા કે અઘરાનો સવાલ જ ઊભો નથી થતો, બધું જ એકદમ સરળ લાગે છે. છતાં જે સરળ હોય છે એને જ સમજવું સૌથી અઘરું પડતું હોય છે!

છેલ્લો સીન :

તમારા સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી. બનાવ સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.

સૌજન્ય :કૃષ્ણકાંત ઉનડકટ

Thursday, September 2, 2010

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

શ્રાવણ માસની વદ આઠમના દિવસે રાત્રિના બાર વાગ્યે મથુરાનગરીના કારાગારમાં વસુદેવની પત્ની દેવકીના કૂખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો એ સાથે જ એક નવા યુગની શરૃઆત થઈ એમ કહી શકાય. કારણ કે જ્યારે ચારેબાજુ દાનવી અને પાશવી વૃત્તિએ જોર પકડયું હતું ત્યારે શ્રીકૃષ્ણનો જન્મ એ દૈવીવૃત્તિના ઉદયને સૂચવે છે. ભગવાન શ્રીકૃષ્ણે રાક્ષસી વૃત્તિના કંસ, જરાસંધ જેવા દુષ્ટ લોકોનો સંહાર કરી સમાજમાં ફરી દૈવી શક્તિનો સંચાર કરવા પ્રયત્નો કર્યા હતા. અંધકારમય યુગને ખતમ કરવા જન્મેલી દૈવી શક્તિ એટલે જ શ્રીકૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં કૌરવો - પાંડવો વચ્ચેની ધર્મ - અધર્મની લડાઈમાં પાંડવોના પક્ષે રહીને તેમને વિજય અપાવવામાં મદદ કરીને ધર્મની સ્થાપના કરી અને ભારતીય સમાજ માટે સંદેશ મોકલાવેલ છે કે હંમેશા સત્ય અને ધર્મનું આચરણ કરો.

શ્રીકૃષ્ણનું જીવન જ એવું ઉદાત્ત અને કલ્યાણકારી હતું કે જેના કારણે સામાન્ય પ્રજાજનને એવું લાગતું હતું કે કૃષ્ણ મારા જ છે. રાજા હોય કે રંક, શ્રીકૃષ્ણ સૌને માટે સરખા હતા. તેનો સાચો અનુભવ પાંડવોને તો થયો જ હતો તો ગરીબ મિત્ર સુદામાને પણ થયો હતો. મુરલીધરે જે દિવસે સંસારમાં પગરવ પાડયા તે વખતે જ વાદળોનો ગડગડાટ થતો હતો. વીજળીના કડાકા બોલતા હતા અને મુશળધાર વરસાદ તૂટી પડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કંસ જેવા અત્યાચારી રાજાનાં દમનમાંથી સમાજને છોડાવવાની સૌ પ્રતિક્ષા કરી રહ્યું હતું ત્યારે જ કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કોને આનંદ ન થાય ?

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષ પહેલાં જ્યારે ધરતી પર કૃષ્ણ પધાર્યા ત્યારે મથુરા અને ગોકુળની પ્રજા આનંદમાં આવી ગઈ હતી. કારણ કે તેમની મુક્તિનો તારણહાર તેમની સાથે હતો. સર્વ દુઃખો ભૂલી જઈને લોકો કૃષ્ણમય બની ગયા તે ઉત્સવ એટલે જન્માષ્ટમી. હજારો વર્ષથી ભારતીય સમાજ કૃષ્ણ જન્મોત્સવને ઉજવીને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી રહ્યો છે. કૃષ્ણભક્તિ એટલે સત્ય અને ધર્મ પ્રત્યેની સાચી નિષ્ઠા. શ્રીકૃષ્ણ આજે પણ આપણા સૌના પથદર્શક છે અને જીવન ઉદ્ધારક છે. કારણ કે ભારતીય સમાજ જીવનમાં કૃષ્ણ જેવો કોઈ આધ્યાત્મિક, નૈતિક કે પછી રાજકીય રીતે ઉત્તમ પુરુષ થયો નથી. કૃષ્ણનું સમગ્ર જીવન સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે જ ગયું હતું. તેઓ હંમેશા ધર્મના પક્ષે રહ્યા અને અસુરોનો સંહાર કરતા રહ્યા.

શ્રીકૃષ્ણમાં એવી ગજબની આકર્ષણ શક્તિ હતી જેનાથી સૌ તેમના પ્રત્યે આકર્ષાતા હતા. કૃષ્ણે ગોવાળિયાઓને ભેગા કરીને તેમનો પ્રેમ જીતી લીધો હતો. તેમણે પોતાના જીવન થકી સામાન્ય લોકોને બોધ આપ્યો કે કર્મ, સત્ય અને નિષ્ઠા હશે તો જીવનમાં જરૃર આગળ વધી શકશો. પ્રભુ તમારી પાછળ ઊભા રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ અન્ય લોકોના કલ્યાણ અર્થે તો ધરતી પર અવતર્યા હતા. તેમની હયાતીથી માનવીઓ, પશુ - પંખીઓ અને તમામ જીવો આનંદિત હતા. આજે પણ જન્માષ્ટમી આવતા સૌ આનંદવિભોર બની જાય છે. ચારેબાજુનું વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. જન્માષ્ટમીના દિવસે ભારતમાં કોઈ એવું શહેર કે ગામ બાકી નહીં રહે જ્યાં કૃષ્ણને યાદ કરવામાં ન આવે. જેમ ભગવાને સૌના દિલ જીતી લીધા હતા તેમ જન્માષ્ટમીનું પર્વ પણ કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયોને પુલકિત કરી દે છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભારતને જોડનારા મહાપુરુષો છે. રામે ઉત્તરથી દક્ષિણ ભાગને જોડયો તો શ્રીકષ્ણ દ્વારા પૂર્વથી પશ્ચિમ ભાગ જોડાયો છે. રામ અને કૃષ્ણ વગર ભારતની કલ્પના થઈ શકે નહિ. બંને કલ્યાણકારી હતા. છતાં પણ તેઓની ભૂમિકા થોડી જુદી હતી. રામે પરિવાર એકમને પકડીને સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. જ્યારે કૃષ્ણે સમાજના જુદા જુદા એકમો પકડીને સમાજનું નિયમન કર્યું. સમાજના વિકાસ કાર્યની વચ્ચે જે કોઈ આવ્યા તે બધાને સીધા કરી નાખ્યા હતા. જ્યારે દુર્યોધન, કંસ, કાલવયન, નરકાસુર, શિશુપાલ, જરાસંધ જેવા આસુરી તત્ત્વો લોકોને રંજાડી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે ધર્મ અને નીતિનું સુદર્શન ચક્ર હાથમાં લઈને અસુરોનો સંહાર કર્યો હતો. સંસ્કૃતિપ્રેમી પાંડવોના તેઓ સદાને માટે માર્ગદર્શક બની રહ્યા. અર્જુનના રથની જેમ તેના જીવનરથને પણ પ્રભુ જ સંભાળતા હતા. કટોકટીના પ્રસંગે અને કપરા કાળમાં તેઓ પાંડવોને ઉગારી લે છે. જરૃર પડયે ધર્મને ખાતર તેઓ પાંડવોને જેવા સાથે તેવાની નીતિ પણ અજમાવવા કહે છે. કારણ કે તેઓ રાજનીતિજ્ઞા પણ છે.

જગતનો ઈતિહાસ હંમેશા પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રીકૃષ્ણે કરેલો છે. ભગવદ્ ગીતામાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિનું અને નિવૃત્તિનું માધ્યમ તેમણે આપેલું છે. તેમણે જીવનનો કર્મયોગ સમજાવ્યો છે તેથી જગદ્ગુરુ સ્થાન પર બિરાજે છે. ભક્તિ અને જ્ઞાાન જેણે જીવનમાં અપનાવ્યા છે એવા નિષ્કામ કર્મયોગીની સમજણ ગીતામાં શ્રીકૃષ્ણે આપેલી છે. ગીતાનું જ્ઞાાન સૂતેલા વ્યક્તિને બેઠો કરે છે. સાવ નંખાઈ ગયેલ વ્યક્તિમાં પણ ચૈતન્ય પૂરવાની તાકાત તેનામાં રહેલી છે. આજે ચેતનત્વ ગુમાવી બેસેલા સમાજે ફરી બેઠો થવા ગીતાના વિચારને જીવનમાં ઊતારવાની જરૃર છે. કૃષ્ણનું એ દિવ્ય ધ્યેય જીવનમાં આવવું જોઈએ. ત્યારે જ કૃષ્ણ મુરલી વગાડીને બધી પ્રવૃત્તિઓને રાસ લેતી કરશે.

આજે આખું જગત કૃષ્ણના વિચારોને સ્વીકારવા તૈયાર છે. કૃષ્ણે પ્રત્યેક ક્રિયામાં પ્રાણ પૂર્યા છે. રમતમાં જીવન ભરનાર અને જીવનને રમત બનાવનાર એટલે શ્રીકૃષ્ણ. કૃષ્ણ એટલે કલ્યાણ, આનંદ અને જીવનની સુગંધ. જેના જીવનમાં કૃષ્ણનો પ્રવેશ થયો હોય તેનું જીવન આનંદમય જ બની જાય છે. જેણે ટૂંકા ગાળામાં જ જીવનનો મર્મ બતાવેલ છે તે પરમાત્મા શ્રીકૃષ્ણના જન્મદિવસ પર્વના રોજ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

સૌજન્ય :સંદેશ

Monday, August 16, 2010

સાચો પ્રેમ ? એ વળી શું ?

સેકન્ડ યર સાઇકોલોજીની વિદ્યાર્થીની પ્રીતિ (૧૮) એના આકર્ષક રૃપ માટે કોલેજના છોકરાઓમાં જાણીતી હતી. બધા એની સાથે ફ્રેન્ડશિપ કરવા તલપાપડ હતા પણ પ્રીતિએ કોલેજના સૌથી હેન્ડસમ યુવાન વિનીતને પોતાના બોયફ્રેન્ડ તરીકે પસંદ કર્યો. જિમમાં નિયમિત જતા વિનીતનું બૉડી કોઇ એકટર જેવું કસાયેલું અને સપ્રમાણ હતું પણ એના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રીતિ અને વિનીતની ફ્રેન્ડશીપ એકાદ વરસ ચાલી ત્યાં કોલેજમાં પાર્થ નામના એકનવા યુવાનની એન્ટ્રી થઇ. પાર્થ સાવ દેખાવમાં સાધારણ હતો પણ રોજ ચળકતી ઓપલ એસ્ટ્રા કારમાં કોલેજ આવતો. એ મોંઘાદાટ બ્રાન્ડેડ વસ્ત્રો પહેરતો અને બ્લેક બેરી ફોન વાપરતો. પાર્થ કોલેજના કેમ્પસમાં કાર પાર્ક કરીને કલાસમાં આવતો ત્યારે એના વિદેશી પરફયુમથી આખો કલાસ મહેકી ઉઠતો. પ્રીતિએે એકાદ અઠવાડીયા સુધી આ બધી વાતની નોંધ લીધી અને પછી પાર્થ સાથે ફ્રેન્ડશીપ કરવાનું મનોમન નક્કી કરી લીધું.

એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણી મારફત મેસેજ મોકલીને પાર્થને કેન્ટિનમાં મળવા બોલાવ્યો. પાર્થને પણ દેખાવડી કન્યામાં રસ પડયો હતો એટલે એ મળવા આવ્યો. બંને વાતોએ વળગ્યા અને વાતવાતમાં પ્રીતિએ પાર્થને ડેટિંગ પર જવાની ઓફર કરી. પાર્થે થોડા સંકોચ સાથે કહ્યું, 'સૉરી, આ સન્ડે તો હું મારી સ્કૂલની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો છું.' પ્રીતિએ આ સાંભળી જરાય નાસીપાસ થયા વિના બીજી ઓફર કરી, 'તો પછી નેકસ્ટ સન્ડે ડેટ પર જવાનું રાખીએ. આ સન્ડે હું પણ મારા જુના બોયફ્રેન્ડ વિનીત સાથે ડેટ પર જઇ આવું.' પાર્થે પ્રીતિની નવી ઓફર સ્વીકારી અને બંનેની ફ્રેન્ડશીપ પર મહોર લાગી ગઇ. ધીમે ધીમે પાર્થ- પ્રીતિ વચ્ચેની દોસ્તી પાકી થતી ગઇ અને વિનીત આપોઆપ પ્રીતિથી દૂર થઇ ગયો. આ જોઇ એકવાર કેન્ટિનમાં પ્રીતિની ખાસ ફ્રેન્ડ પલ્લવીએ એને પૂછી લીધુ, 'પ્રીત, તે પાર્થ માટે વિનીતને છોડી દીધો કે શું? એ બિચારો કેવો દેવદાસ થઇને ફરે છે! તારે આવુ નહોતુ કરવું જોઇતું.' આ સાંભળી પ્રીતિએ ખિલખિલાટ હસતા પલ્લવી સમક્ષ પોતાનું દિલ ખોલ્યું, 'પલ્લી, વિનીત બહુ સારો છોકરો છે, હેન્ડસમ છે, સ્વભાવનો સારો છે પણ એની પાસે ઓપલ એસ્ટ્રા અને બ્લેક બેરી નથી. એટલે હું એને લાઇફ પાર્ટનર બનાવવાનું કદી સ્વપ્ને પણ ન વિચારૃ. જયારે પાર્થ પાસે મને આપવા માટે બધુ જ છે. એ મને મેરેજ માટે પ્રપોઝ કરશે તો હું ના નહિ કહું આફટર ઑલ, આઇ વાન્ટ ટુ એન્જોય માય લાઇફ.'

અઢાર વરસની કાચી વયે પ્રેમને ભૌતિકતાના ત્રાજવામાં તોલી શકે છે. એ નવા જમાનાની તાસિર છે.

એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા

એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."

તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી...

અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો

અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો

અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી

અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી

અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો

અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી

અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ

અને બુલબુલ પાસેથી શરમાળતા...
આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...

અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા

જીવનમાં નવું શું છે ?

વરસોનાં વરસ સુધી આપણે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. આ રફતારને શિસ્ત, સિક્યોરિટી, શાણપણ જેવાં રૂપાળાં નામ આપીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં એ આપણો ડર છે, અજાણ્યા રસ્તે જવાનો ! Fear of unknown ! એટલી હદ સુધી કે કોઈ નવા વિચારને પણ આપણે ભાગ્યે જ મગજમાં આવવા દઈએ છીએ.

ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.

અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?

જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !

ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે?‘